કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

શહેરમાં સાંજ....

Comments

 

 


 

 આ શહેરમાં સાંજ થતી નથી,  

 કોઈએ જોયું નથી સંધ્યાનું સૌંન્દર્ય, 

 પાછા ફરતા બળદગાડાંઓ,ઝાલર ટાણું,  

  હા,વોલપેપરમાં કોઈકવાર,

  જોયું છે આ બધું,

  રસ્તે નીકળે છે,

  ઓફિસર્સ,મેનેજર,મજૂરો,ભિખારીઓ અને

  પેલો રઘવાયો માણસ,

  રોબોટ જેવી યંત્રવત સ્થિતીએ,

  પૂરો દિવસ તણાવો,ચિંતાઓ,

  છતાંયે સંધ્યાનો ઉન્માદ ના માણે!

  જેમનાં સપનાઓ સિમેન્ટમાં જન્મે છે,

  પલે છે,બઢે છે,

  અને મૃત્યુ પામે છે.

  તેમને 'ગોધૂલી'ની શી સમજ?

  હા, આ શહેરમાં સાંજ થતી નથી,

  કોઈએ જોયું નથી સંધ્યાનું સૌંદર્ય.

  ~હિરેન જોશી


Share/Bookmark

હોસ્ટેલનો સામાન પેક કરતી વેળા...

Comments

ATM ની જૂની કેટલીક રસીદ,

મ્યુઝીયમની ટિકીટ સાથે પાંચ-પાંચ રૂપિયાની બે બસ ટિકીટ,

એક કોફી બિલ-એક હોટ બીજી કોલ્ડ,

બિલ કોફીનું છે પણ તે રાતે આઈસક્રિમ પણ ખાધી હતી-એક કોન બીજી સ્ટીક!



ટ્રાફિક પોલીસે ફાડેલી કાપલી લખ્યું તું-૨૫૦ રૂપિયા

એ જ દિવસની બે મૂવિ ટિકીટ્સ-સ્કિન નંબર ૪.

ચોકલેટ્સ ના ખાલી કાગળિયા સાથે મોજાની ગંધ!

ડિનર"પોસ્ટપોન્ડ" સાથે તેણીએ લખેલી એક નોંધ.

 

એક બ્લૂઈશ ગિફ્ટ પેકિંગનો કાગળ-ઈટાલિક્સમાં લખેલું મારૂ નામ સાથે...વિથ લવ

કાપલી પર પ્રેઝંટ્ મૂમેંટ-૯ પી એમ.

હોસ્ટેલ રૂમ એલોટ્મેન્ટની પર્ચી,

બે અડધા ભરેલા ફોમ્સ,ભૂલ ને લીધે અડધેથી છોડ્યાં હતાં,

'રણજીત'ના ગંજી પર બે ફોન નંબર-ખબર નથી કોના હતાં?

 

~હિરેન જોશી


Share/Bookmark

૧૯૮૯થી૨૦૧૨--શું બદલ્યું ભારતમાં અને સચિનમાં??

Comments

સચિન તેંડુલકરે ૧૯૮૯માં પાકિસ્તાન સામેની શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટજીવનની શરૂઆત કરી હતી...આ ૨૩ વર્ષના સમયગાળા(૧૯૮૯-૨૦૧૨) દરમિયાન દેશમાં શું-શું બદલાયું??


તે સમયે દેશમાં ખાવા-પીવા પૂરતી એક જ ચેનલ હતી-દૂરદર્શન


ઘરેલુ એરલાઈન્સ તરીકે ઈન્ડિયન એરલાઈન્સ એક જ હતી.


સચિન ના પદાર્પણ પહેલાનાં થોડાક મહિનાઓ પહેલા પેપ્સીએ દેશમાં પ્રવેશ કર્યો હતો.કોકા કોલાની રી-એન્ટ્રી ૧૯૯૩માં થઈ હતી.૧૯૮૯ પહેલા ભારતીય બજારોમાં થમ્સ અપ,સિટ્રા,લિમ્કા,સોસીયો જેવી પ્રાદેશિક બ્રાન્ડ્સ જામેલી હતી.


સચિનના ક્રિકેટ જગતમાં આગમન સમયે ૧ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ૧૭ રૂપિયા અને ૫૦ પૈસા હતું.


સચિનના ટીમ ઈન્ડિયામાં શામેલ થયાના થોડાક દિવસોમાં રાજીવ ગાંધીએ પ્રધાનમંત્રી પદની ખુરશી છોડવી પડી હતી અને વી.પી સિંહ નવા વડાપ્રધાન બન્યા હતાં.તે સમયે કોંગ્રેસ અને જનતા દળ બે મુખ્ય પાર્ટી હતી.બીજેપી ત્રીજે નંબરે હતી.


૧૯૮૯ની સાલની સુપરહીટ ફિલ્મ "મૈંને પ્યાર કીયા"થી એક ફ્રેશ સુપરસ્ટારનો જન્મ થયો હતો-સલમાન ખાન.૧૯૮૯ દાયકાથી બોલીવૂડને નવા રોમેન્ટીક એકટ્રો અને તેમની ફ્રેશ ફિલ્મો મળવાં લાગી.


તે સમયે ભારતમાં શોપર્સ સ્ટોપ,મેક ડોનાલ્ડ્ઝ,પીઝા હટ કે નો જન્મ પણ નહોતો થયો.


ત્યારે DVD નો આવિષ્કાર નહોતો થયો(બ્લુ રે ડિસ્ક તો સપનું હતી) મળવી દુર્લભ હતી. ઓડિયો કેસેટ્સ અને ટેપની ડિમાન્ડ હતી.


૧ એપ્રિલ ૧૯૮૯નાં રોજ ભારતીય બજારોમાં પેટ્રોલનો ભાવ સાડા આઠ રૂપિયે લિટર,ડિઝલ સાડા ત્રણ રૂપિયે લિટર અને રાંધણ ગેસ ૫૭ રૂપિયા પ્રતિ સિલેંડર હતાં.


૨૩ વર્ષનાં સમયગાળા દરમિયાન ભારતમાં ઘણાંબધા બદલાવો આવ્યાં--અને સચિન તમારામાં???




Share/Bookmark

હે ગણેશ!

Comments


હે ગણેશ!



હે ગણેશ!


તમે ખૂબ જમ્યાં,


ખાઈ-પીને રાજ કર્યુ,


તમારું પેટ આ વાતનો પૂરાવો છે.


પણ આજના નેતાઓ જે જમે છે


એની તુલનામાં તો તમે કાંઈ નથી,


રોડ,મેદાનો,મકાનો,કોલસાઓ,,આહા કેટલું બધું જમ્યાં!


હે ગણેશ!


આ છે ચમત્કારીઓ,


ખૂબ જમીને પણ બને છે


ભીખારીઓ!


તેમનાં જમણવારનું બિલ જાણવા


જવું પડે વિદેશ!


હે ગણેશ!


કેવી છે આ વિડંબણા


તમે ઉંદરને વાહન બનાવ્યો


તેમણે અનુસરણ કરીને


જનતાને ઉંદર બનાવી દીધી.


હે ગણેશ!


હું જાણું છું કે તમારી તુલના ઠીક નથી


આ ધૂતારાઓ સાથે


પણ બતાવ્યાં વિના છૂટકો પણ નથી.


હે ગણેશ!


તમને ચાહે છે દિન,દુઃખી,ભૂખ્યાં લાચાર,


થોડાંક મારી જેવા કવિ,કલાકાર.


પણ ધૂતારાને ચાહે


આખું કાળાબજાર.


આવ્યાં છો તો સાથે લઈ જાઓ આ દેશ!


હે ગણેશ!


Share/Bookmark

શું નરેન્દ્ર મોદી ગુનેગાર છે??

Comments


"ભારત જેવા શાંતિપૂર્ણ દેશમાં કોઈપણ સાંપ્રદાયિક ઘટના નિશ્ચિતપણે કોઈ વ્યક્તિકેન્દ્રી ના રહીને સમ્રગ દેશ માટે એક કલંક સમાન છે".-આ શબ્દો થોડાંક સમય પહેલા પ્રધાનમંત્રી મનમોહન સિંહ આસામની સાંપ્રદાયિક ઘટના પ્રભાવિત વિસ્તારની મુલાકાતે ગયા ત્યારે તેમણે ઉચ્ચારેલાં છે.હકીકત એ છે કે ભારતમાં અત્યાર સુધી બનેલી દરેક આતંકવાદી ઘટનાઓ,સાંપ્રદાયિક હિંસાઓ,જાતિ અને ભાષાઓ આધારિત ઝઘડાઓને છેલ્લી પાયરીના ગંદા રાજકારણની ભેટ ચઢી ગયા છે.જે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.ધર્મનિરપેક્ષતાની આડમાં પોતાને સેક્યુલર અને સમાજવાદી બતાવતા તથાકથિત બુદ્ધિજીવીયો અને રાજનેતાઓએ મોંફાટ નિવેદનો અને વાક્યપટુતા વડે દેશની એકતા અને અંખડિતતાને હંમેશા નુક્શાન જ પહોંચાડ્યુ છે.અવસરવાદી રાજકારણના જાણભેદુઓ વેચાઉ મીડિયાનો સહારો લઈને સુપ્રિમ ન્યાયલય કે કાયદાકિય ફેંસલાઓને પણ વોટબેંકની રાજનિતી માટે જેમ ફાવે તેમ ઉપયોગ કરે છે.જેથી દેશમાં એક ભ્રમની સ્થિતી ઊભી થઈ છે.કેટલાંક ઓવર-સ્માર્ટ રાજનેતાઓ પોતાને સર્વોચ્ચ ન્યાયાધીશ માનીને ત્વરિત પ્રતિક્રિયાઅને ફેંસલો આપી દે છે.કોંગ્રેસ ના અગ્રણી નેતા જયંતિ નટરાજનનું એક સ્ટેટમેન્ટ જેમાં ગોધરાકાંડ પર ન્યાયાલયનાં ફેંસલાને વાંચવાની તસ્દી પણ લીધા વિના પ્રતિક્રિયા આપી કે"ગોધરા કાંડ મુદ્દે નરેન્દ્ર મોદી દોષી છે તેમને ફાંસી આત્તપો".કોંગ્રેસની આખી જમાત આવા બેફામ નિવેદનો માટે કુખ્યાત છે,જાણભેદુઓ છે.એટલે જ કદાચ લઘુમતિઓમાં તેઓ પ્રખ્યાત છે.આવા વાક્પટુઓના વોટબેંકલક્ષી નિવેદનોને લીધે દેશમાં સૌહાર્દ અને સદભાવની ભાવના ઓછી થતી જાય છે.૧૯૮૪માં ઈન્દિરા ગાંધીના મૃત્યુ પછીના સમયગાળામાં ફાટી નીકળેલી હિંસાને યોગ્ય ઠેરવવા માટે એક કોંગ્રેસી નેતાએ એવું નિવેદન આપ્યું હતું કે "પેડ પડતા હૈ તો ધરતી તો હિલતી હૈ" આ જ કોંગ્રેસના એક બીજા અગ્રણી નેતાએ આસામ(કોકરાઝાર)ના હિંસાચારને "અસ્થાયી" ગણ્યો છે!

ભારત એક લોકતાંત્રિક દેશ છે.અતઃ બંધારણે દરેક નાગરિકને સ્વતંત્ર રીતે પોતાના લીડર ચૂંટવાની સ્વાધિનતા આપી છે.આ મૂળભૂત સ્વતંત્રતા પર ખતરો ક્યારે મંડરાઈ છે??-જ્યારે લોકતંત્રનો ચોથો સ્તંભ ગણાતું મિડીયા,ભ્રષ્ટ નેતાઓની સાથે સાંઠગાંઠ કરીને કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરે.નરેન્દ્ર મોદી સાથે કંઈક આવું જ બની રહ્યું છે.આ સમ્રગ પ્રકરણનું પ્રશ્નચિન્હ એ છે કે નરેન્દ્ર મોદીનો ગુનો શું છે??

૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ ના દિવસે અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકોમાંથી ૫૯ કારસેવકોને જીવતા સળગાવી દેવાના દુષ્કુત્યનાં પ્રત્યાઘાત રૂપે ફાટી નીકળેલી તીખી સાંપ્રદાયિક હિંસા એ કંઈ ભારતની પહેલું સાંપ્રદાયિક તોફાન નહોતું.તેની પહેલા પણ ૧૯૪૭થી લઈને અત્યાર સુધી અનેક સાંપ્રદાયિક હુલ્લડો થયા છે.૧૯૬૧માં મધ્ય પ્રદેશના જબલપુરમાં થયેલા તોફાનો હોય કે ૧૯૬૯માં ગુજરાતના કોમી તોફાનો,૧૯૮૪ શીખ વિરોધી રમખાણો હોય કે ૧૯૮૭નાં મેરઠના કોમી તોફાનો,૧૯૮૯ ભાગલપુર,૧૯૯૨-૯૩ બાબરી ધ્વંસ ના પ્રતિભાવ રૂપે મુંબઈના ફાટી નીકળેલા તોફાનો,૨૦૦૮માં કંધમાલની હિંસા હોય કે ચાલુ વર્ષે આસામનાં કોકરાઝારમાં બનેલી ઘટના જેમા અત્યાર સુધી ત્રણ લાખ લોકો બેઘર બન્યાં છે.દરેક સાંપ્રદાયિક તોફાનો પછીના સમયગાળામાં એકતા અને અંખડિતતા પર રાજકારણ હાવી થઈ જાય છે.વોટ્બેંક માટે લઘુમતિઓને સહાનુભૂતિ દર્શાવીને છાવરવા માટેની હોડ લાગે છે.મિડીયા નિષ્પ્ક્ષ રીપોર્ટીંગ કરવાનું ભૂલી જઈને વોટબેંકના જાણભેદૂઓના ઈશારે નાચવા લાગે છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનવાના અભિયાન સામે દરેક કહેવાતા સેક્યુલર પક્ષે રાજનિતીક પંડિતોની મદદથી એન્ટી નરેન્દ્ર મોદી વાતાવરણ ઊભું કર્યુ છે.મોદીને જે વ્યક્તિ મળે તે સાંપ્રદાયિક જ કહેવાય.મોદીની છાપ ભગવાં હિન્દુત્વના પ્રચારક તરીકે જોર-શોરથી કરવામાં આવી રહી છે.મોદીની પૂર્વભૂમિકા સંઘ પ્રચારકની છે જે બાબત સમ્રગ ઝૂંબેશમાં આગમાં ઘી ઉમેરવાનું કાર્ય કરે છે.ટૂંકમાં મોદીને હિન્દુત્વ ના હિમાયતી અને મુસ્લિમમોના કટ્ટર વિરોધી છે તેવું બ્રાંન્ડિગ કરવામાં આવી રહ્યું છે.જે ભારતીય રાજકારણમાં એક અક્ષમ્ય અપરાધ છે,ઈતિહાસ માફ નહી કરે એવાં લોકોને જે મોદી વિરોધી દુષ્પ્રચાર કરવાનું કાર્ય કરી રહ્યાં છે. અન્ના હજારેથી લઈને બાબા રામદેવ જે કોઈએ પણ મોદીની પ્રશંસા કરી તેને બુદ્ધિજીવીઓ અને સેક્યુલરોની ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.એક બાજુ શીલા દિક્ષીત અને શરદ પવારને મોદીની પ્રશંસા માટે ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યા તો બીજી બાજું વસ્તાનવી અને સમાજવાદી ધારાસભ્ય શાહિદ સીદ્દીકીને પોતપોતાના પદેથી હાથ ધોવા પડ્યા હતાં.ભારતીય રાજકારણમાં મોદી સાથે અછૂત જેવો વ્યવહાર શા માટે?? દેશની સર્વોચ્ચ ન્યાયાલયે પણ ગોધરાકાંડ બદલ તેમને દોષી નથી ગણ્યા કે નથી માફી માંગવાની ભલામણ કરી.તો સેક્યુલર ચોખલીયાઓ અને મીડિયાના પ્રતિનીધીઓ બંધારણની કઈ કલમને આધારે મોદીને માફી માંગવાની માંગ કરી રહ્યાં છે?? ગોધરા કાંડ અને નરોડા પાટીયાનાં રમખાણોને થોડાંજ દિવસોમાં નિયંત્રણમાં લેનાર અને ૨૦૦૨ પછીના સમયમાં એક પણ હુલ્લ્ડ ન થવા દેવામાં સફળ થનાર નરેન્દ્ર મોદી આજે પણ ભારતીય રાજનીતિમાં અછૂત છે.


Share/Bookmark

યે પબ્લિક હૈ સબ જાનતી હૈ!

Comments
ટી.વી પર રાજેશ ખન્નાની એક મૂવિનું સોન્ગ"યે પબ્લિક હૈ સબ જાનતી હૈ" આવી રહ્યું છે. જાહેરાત દરમિયાન રીમોટ દેવ દ્વારા ચેનલને ફેરવવામાં આવે છે.અવળચંડી ન્યૂઝ ચેનલ પર પગ સ્થિર(આંગળીઓ) થાય છે.આ ન્યૂઝ ચેનલ જાણે અન્ના હજારેના આંદોલનને કોઈપણ ભોગે નિષ્ફળ બનાવવું તેવા સંકલ્પ સાથે મેદાને પડી હોય તેવું લાગે છે.કોઈ ઘેટાં જેવો,ચશ્મા પહેરેલો,કાળો કોટ લટકાડેલો એન્કર સતત બફાટ કરે છે.તેના બફાટનો સાર એ છે કે અન્ના હજારે ઉપર હવે લોકોને વિશ્વાસ નથી,લોકો અન્ના અને તેની મંડળીથી દૂર ભાગી રહ્યા છે...વગેરે-વગેરે.દરેક ન્યૂઝ ચેનલો જે કોર્પોરેટ હાઉસીઝ દ્વારા સંચાલિત છે તેમાં ક્યા અન્ના કા જાદૂ ઢલ ગયા??,આજ કેજરીવાલ કા રાજ ખૂલેગા,કહાં ગયા જનસૈલાબ?? એવા ભળતા નામોથી ન્યૂઝ બનાવવાની હોડ લાગી છે.અન્ના ઉપર અને તેના સાથીઓ ઉપર આક્ષેપો થાય છે.નેગેટીવ રીપોર્ટીંગ થાય છે.ખિલ્લી ઉડાવાય છે.આ ન્યૂઝ ચેનલો દ્વારા લોકોને અન્નાના આંદોલનમાં ના શામેલ થવાની આડકતરી અપીલો પણ કરાય છે.
ખુર્શીદ,દિગ્વિજ્ય સિંહ,નારાયણ સામીનાં એઝ એક્સ્પેક્ટેડ સ્ટેટ્મેન્ટના ફૂટેજ સવાર-સાંજ બતાવાય છે.
દેખ તેરે ભારત કી હાલત ક્યા હો ગઈ ગાંધી??


ટીમ અન્નાનું આંદોલન ચાલતું રહે છે.ત્રણ દિવસ એટલે કે ૨૫-૨૬ અને ૨૭ ઓગસ્ટ રાહ જોયા પછી ચોથે દિવસે ૨૮ ઓગસ્ટની સવારે ૭૫ વર્ષનો વૃદ્ધ ગાંધીવાદી નાછૂટકે ઉપવાસનું શસ્ત્ર ઉપાડવાં મજબૂર થઈ જાય છે. અન્નાની આંદોલનને અનેક દ્ર્ષ્ટિથી જોવાની કોશિશો ચાલું જ છે.સામે પક્ષે ખાનગી ટી.વી ચેનલો અને અખબારોમાં બેફામ દુષ્પ્રચાર ચાલું છે.

જન લોકપાલ આંદોલન માત્ર લોકપાલ માટેનું આંદોલન મટીને અન્ના સહયોગી વિરુધ્ધ અન્ના વિરોધીઓ સુધી સીમિત થઈ ગયું છે.લોકપાલ અભેરાઈ પર ચડી ગયું છે.આંદોલનની પવિત્રતા ખોવાઈ ગયી છે,બયાનબાજીઓ થઈ રહી છે.એક બાજુ ટીમ અન્ના કોંગ્રેસના ૧૫ મંત્રીઓ પાસે સ્વીચબેંકમાં કેટલા રૂપિયા પડ્યા છે તેનો ખુલાસો કરે છે તો બીજી બાજુ કોંગ્રેસ આ આંદોલનને ૨૦૧૪ની ચૂંટણી માટેનો એક સ્ટંટ બતાવી રહી છે.

કેજરીવાલ ઓન ફાયરઃબોલે તો જાણે આગઝરે!


ટીમ અન્નાનો વાણી-વિલાસ પણ સમ્રગ આંદોલનની ચર્ચાસ્પદ બાબત છે.એવું બની શકે કે અરવિંદ કેજરીવાલ સહિતના સભ્યોએ ઉઠાવેલાં મુદ્દા સાચાં હોય પરંતુ કડવું સત્ય કે નગ્ન સત્ય બોલતી વખતે તેના ફળ ભોગવવાની પણ તૈયારીઓ રાખવી જોઈએ.ટીમ અન્નાના એક સભ્ય કંઈક બોલે છે તો બીજો કંઈક અલગ નિવેદન આપી દે છે,સ્વાભાવિક છે કે આ લોકોનું વ્યાપારિક સંગઠન નથી કે બધાનો વિચાર એક જ હોય છે.પરંતુ વિરોધીઓને મોકળું મેદાન મળી જાય છે.

લોકો બધુ જાણે છે છતાંય ચૂપ છે-જનતાની આ ચૂપકિદીને બાજીગર સરકાર વિજય માની રહી છે,પરંતુ આ તો યુદ્ધ પહેલાની શાંતિ જણાય આવે છે.જંતર-મંતર પર ઉપવાસ માટે ભલે એકલા અન્ના જ બેઠા હોય પરંતુ આ દેશમાં અનેક પરીવારો રોજ ઉપવાસ કરે છે,બે ટંકનું ભોજન તેમને નસીબ નથી.

 

Share/Bookmark

પાની રે પાની તેરા રંગ કૈસા??

Comments
આમિર ખાનનાં સત્યમેવ જયતે શો માં આજે પાણી અંગેનો મુદ્દો ગંભીર રીતે સમજાવવામાં આવ્યો.પવિત્ર નદીઓનાં દેશ માથે પાણીનું ભયંકર સંકટ તોળાઈ રહ્યુ છે.દેશમાં હજારો ગામડાંઓ ઉસ્માનનગરની જેમ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.પાણી માટે ૫-૧૦ કિલોમીટરની સફર એ તેમના દૈનિક જીવનનો હિસ્સો બની ગઈ છે.પાણી માટે મારપીટ થાય છે,ખૂન-ખરાબાં થાય છે.હત્યાઓ થાય છે.પાણીનો રંગ લાલ થાય છે.નિર્મલ પાણી કોઈના મોતનું કારણ બની શકે છે તે કલ્પના પણ કેટલી આઘાતજનક છે!

ગામડાંઓની હાલત આ છે તો શહેરોની પરીસ્થિતી કંઈ વધુ સારી નથી.મુંબઈને પાણી પુરૂ પાડતાં ભાતસા,તુલસી વગેરે ડેમો પણ ડચકાં ખાય છે.સમયસર વરસાદ ના આવવાનાં કારણે ખેડૂતો અને અન્ય શ્રમજીવી લોકોની હાલત દયાજનક થઈ ચૂકી છે.દિલ્હી,બેંગ્લુરૂની મ્યુનિસીપાલીટી કુત્રિમ વરસાદ વરસાવવાનું આયોજન કરી રહી છે જેથી પાણીની વિકટ સમસ્યાનો કંઈક ઉકેલ આવે.

સત્યમેવ જયતેમાં દર્શાવાયું તેમ મહારાષ્ટ્રના ૫૦૦૦ ગામડાઓની જીવનશૈલી પાણીના ટેન્કરો ઉપર આધારીત છે.જે દિવસે ટેન્કર આવે તે દિવસે લોકોને બધા કામો છોડીને પાણી માટે લાઈનમાં લાગી જવું પડે છે.બિહારમાં ખેતરમાંથી પાણીની ચોરી રોકવા માટે ખેડૂતોએ બંદૂકો ઉઠાવવી પડી છે.પાણી માટે એકબીજા રાજ્યો ઝઘડી રહ્યા છે.

યમુના,ગંગા જેવી મુખ્ય નદીઓની હાલત ગંધાતી ગટરો જેવી બદતર થઈ ગઈ છે.૧૫૦૦ કિલોમીટર લાંબી યમુના નદીનો ૭૦૦ કિમીનો વિસ્તાર 'ડાર્ક ઝોન'જાહેર થઈ ચૂક્યો છે.મતલબ કે એ વિસ્તારનું પાણી માણસ તેમજ અન્ય સજીવો માટે ઝેર સમાન છે.વૃંદાવનમાં યમુના-જળનું ચરણામૃત લેવાય છે,જેમાં ૭૦-૮૦% પાણી દિલ્હીની ગંધાતી ગટરોનો કૂડો-મેલ હોય છે.એવી જ હાલત બનારસમાં ગંગા નદીની છે.ગંગા,યમુનાનું ઐતિહાસીક મહત્વ છે,તેની હાલત આપણે કચરાટોપલી જેવી કરી નાંખી છે.લગભગ દરેક મોટી નદીઓની હાલત એ જ છે.

કરોડો વર્ષોનાં ભૂસ્ખલન અને અનેક પ્રક્રિયાઓ બાદ જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે તેનું ઉપલું પડ દાધિયા જેવું બન્યું.ઉપરની માટીનું આવરણ વરસાદનાં પાણીને જમીનનાં નીચેનાં પડમાં સાચવી રાખતું હતું.નીચેના 'અંડરગ્રાઉન્ડ તળાવો'માં આ પાણીનો સંગ્રહ થતો હતો.આ સાહજીક પ્રક્રિયા સામે યક્ષપ્રશ્ન ત્યારે ઊભો થયો જ્યારે માનવી કોંક્રિટના રવાડે ચઢ્યો! કોંક્રિટના રસ્તાઓ,મકાનો જમીનના ઉપલા પડને પાણી શોષવાની પ્રક્રિયામાં અંતરાય બનવા લાગ્યાં.અધૂરામાં પૂરુ માણસે જમીનની અંદરથી પાણી મેળવવા માટે ખોદકામ શરૂ કર્યુ.બોરવેલ,કૂવાઓ વગેરે ઉપાયોને કારણી જમીને ચારણી બનાવી દીધી.

પૃથ્વી પર ૭૧% પાણી છે તે વાત આપણે જાણીએ છીએ.પરંતુ આ ૭૧%માંથી માત્ર ૩% પાણી પીવા લાયક છે અને તેમાં પણ ૨.૩% પાણી બરફના સ્વરૂપે છે.એ રીતે જોઈએ તો ૭૦૦ કરોડ માણસો અને અન્ય કરોડો સજીવો માટે ૧.૭% પાણી ખરેખર ઉપયોગી છે.હાલત ત્યારે બદતર થઈ જાશે જ્યારે સતત વધતી જતી વસ્તીની આડ-અસરો,કારખાનાં-મીલોનાં ગંધાતા પાણીના પાપે નદીઓ,તળાવોનું પાણી પીવાલાયક કે દૈનિક ક્રિયાઓ માટે ઉપયોગ કરવાને લાયક નહી રહે.

શું થશે ત્યારે??

ત્યારે એક બાલદી પાણી માટે ખૂન થશે.બહારગામ ગયેલાં પડોશીના બંધ મકાનમાંથી બે દિવસના વાસી પાણીની ચોરી થશે.દરેક વ્યક્તિએ અઠવાડિયામાં ૨ દિવસ જ નાહવાનું તેવો વટહુકમ બહાર પડશે.પાણી બચાવો વિધેયક પાસ થશે.ચૂંટણી જીતવા માટે દરરોજ પાણી સપ્લાઈના પોકળ છતાંય લાલચી ઢંઢેરાઓ પીટાશે.સમાચારપત્રોના પાનાંઓ પાણી અંગેની ખબરોથી ઉભરાઈ જશે.ટેન્કરનું પાણી ભરવા માટે માથાભારે લોકો બંદૂકો,તલવારો,ધારીયાં જેવા તીક્ષ્ણ હથીયારોનો ઉપયોગ કરશે.પાણીનાં કૌભાંડો બહાર પડશે,દેશને નવો એ.રાજા કે કલમાડી મળશે.પાણી પુરવઠાના બજેટનું ઈમ્પોટન્ટ વધી જશે.૩૦૦ લીટર કરતાં વધારે પાણી ધરાવતા લોકો સ્ટેટ્સ સીમ્બોલ બની જશે.તેઓ ખરેખર "પાણીવાળા" કહેવાશે.પવિત્ર નદીઓનું પાણી મ્યુઝીમમાં જ જોવા મળશે.:) = :(

છેવટે પેલું પાણી લાલ રંગે નાહીને સમ્રગ માનવજાત સામે અટ્ટહાસ્ય કરશે.


Share/Bookmark

ગૌહાટીકાંડઃએક બોધપાઠ

4 ટિપ્પણી(ઓ)
હિંદુસ્તાન અજબ-ગજબનો દેશ છે.જે ઘટનાઓ રોજ-બરોજ ઘટતી હોય તે ટીવી કે મીડીયામાં આવે એટલે તેની અસર શરૂ થઈ જાય.કોઈ પણ હાલી-મવાલી પોતાનો અમૂલ્ય ઓપીનીયન આપીને ઘટનાનું એનાલીસીસ કરવા લાગે.ચારે બાજુ ચર્ચાઓ થવા લાગે,રામ રાજ્યમાં કંઈક ના બનવાનું બની ગયુ તેવો ભાસ ઊભો થાય.

દયા તો પેલાં આઠ-દસ વ્યક્તિઓની આવે જેઓ ટીવી પર આવવા માટે હિરોગીરી કરવાં જતા મફતમાં વિલન બની ગયાં.સમ્રગ ઘટનાનું મુખ્ય પાત્ર હતી પેલી કથિત ત્રાસીત છોકરી કે જે મધરાતે આઠ-દસ પુરૂષોની અડફેટે ચઢી ગઈ હતી.પરંતુ એક વાત ખૂબ જ મહત્વની છે કે તે છોકરી શરાબી છે,અને બાર ગર્લને સારી કહેવડાવે તેવા ધંધા કરે છે.સસ્તી પબ્લિસીટી માટે કરેલા સ્ટંટનું પરીણામ અત્યારે પેલા આઠ-દસ છોકરાઓ ભોગવે છે.તેમને ફાંસી દેવાની વાત થાય છે.

ફાંસી દેવી જ હોય તો તે ચેનલના રીપોર્ટરને આપો જેણે સમ્રગ ઘટનાને બીજે દિવસે મસાલા સાથે ચેનલ પર રજૂ કરી.ફાંસી આપવી જ હોય તો તે કેમેરામેનને આપો જેણે નશામાં ધૂત બાર-બાળાની સસ્તી પબ્લિસીટી માટે પેલા આઠ-દસ લોકોનો હાથાં તરીકે ઉપયોગ કર્યો.આ ઘટનાં ઉદાહરણ બનવી જોઈએ જેથી કોઈ રીપોર્ટર હિરો બનવાની કે આમ નાગરીકો ટીવી પર આવવાની લાલચને કારણે સાર્વજનિક સ્થળ પર કોઈ સાથે ક્ષોભજનક વ્યવહાર ના થાય.

ટીવી પર આવેલા ફૂટેજમાં સચ્ચાઈ એ છે કે હાજર રહેલા વ્યક્તિઓમાંથી કોઈએ પણ છોકરીની સાથે છેડતીની કોશીશ નથી કરી.નશામાં ધૂત છોકરી પેલા પુરૂષોને ઉકસાવી રહી હતી,શરમજનક વ્યવહાર કરવાં માટે.

મહિલા મુક્તિ મોર્ચા વાળા કે વુમન રાઈટ્સ વાળા એવી બૂમરાણ મચાવશે કે સ્ત્રીઓને પણ હરવા-ફરવાનો,સ્વતંત્ર રીતે વર્તવાનો(દારૂ પીવાનો) પૂરતો અધિકાર છે.કોઈ છોકરીગમે તેટલાં ટૂંકા વસ્ત્રો પહેરે,ડાંસ કરે,લોકોને સીડ્યુસ કરે.કોઈ પુરૂષને તે સ્ત્રીને હાથ અડકાડવાનો હક થોડો મળી જાય??-જવાબ છે સ્ત્રીઓ કાંઈ શની-શિંગણાપુરની સ્ટેટ બેંક થોડી છે કે તેના દરવાજા ખુલ્લાં હોય તોપણ શનિ ભગવાનની બીકે કોઈ ચોર ત્યાં ચોરી કરવાની હિંમત ના કરે.ઈતિહાસ સાક્ષી છે કે પુરૂષપ્રધાન સમાજમાં ભલે નારી શક્તિ ઝીંદાબાદનાં નારા લાગતા હોય પણ જ્યારે કોઈ સ્ત્રી તેની મર્યાદા ચૂકી ગઈ છે ત્યારે પુરૂષો ઈમાનદારી દાખવી શક્યાં નથી.એવા સમયે ઈમાનદારી દાખવવી જરૂરી પણ નથી.આવું નાટક તો પુરાણોના સમયથી ચાલ્યું આવે છે,જ્યારે અપ્સરાઓ ૠષિમુનિઓને સીડ્યુસ કરતી.'આ બૈલ મુજે માર' વાળી કહેવત મુજબ જ.

તખ્તાઓ બદલી દો,તાજ બદલી દો,બેઈમાન સમાજ બદલી દો.પરંતુ જ્યારે-જ્યારે સ્ત્રીઓ તેની મર્યાદા ચૂકશે ત્યારે-ત્યારે એક ગૌહાટીકાંડ થવાનો અંદેશો મળશે.

Share/Bookmark

હિંદુસ્તાનનો જાદૂઈ ખેલ

2 ટિપ્પણી(ઓ)
હિંદુસ્તાનના પાંસઠ વર્ષના ઈતિહાસમાં ખૂબ વિકાસ થયો.ગરીબોની મજૂરી સો રૂપિયા થઈ ગઈ,અંબાણીનો બંગલો સો કરોડનો થયો.આવો તુલનાત્મક વિકાસ થયો.આ કામ જાદુઈ રીતે પરીપૂર્ણ થયું છે.આખરે વિશ્વના સૌથી મહાન લોકતંત્રમાં સૌને વિકસીત થવાની તક તો મળવી જોઈએ ને??

આ દેશને અડધી રાતે આઝાદીનો સૂરજ દેખાયો,નહેરૂજીએ એવા જાદૂઈ ખાનદાનની સ્થાપના કરી કે હેરી પોટરની જાદૂઈ સ્કૂલનો પ્રિંસીપાલ પણ ટૂંકો પડે.આ જાદૂને ડામવા કમ્યૂનિસ્ટોથી લઈને જે.પી,લોહિયા સૌ કોઈએ એડીચોટીનું જોર લગાવ્યું,માન ખાટ્યું પણ જ્યારે નેતૃત્વની વાત આવી ત્યાં સૌને જાદૂ ભૂલાઈ ગયો.ભાજપાઈ સંઘો થોડાંક-થોડાંક જાદૂ કરતાં શીખી રહ્યા હતાં ત્યાં 'ઈંન્ડિયા શાઈનીંગ'નો જાદૂ ખોટો પડ્યો.ગરીબોને લાગ્યું પૈસાવાળા શાઈનીંગ થઈ જાશે,અમીરોને લાગ્યું ગરીબો લાભ ખાટી જાશે અને અમે રહી જઈશું.કોઈએ ભાજપાઈને જાદૂ ના કરવા દીધો.આઠ વર્ષથી જાદૂગરી બંધ છે.

પછીનો સમયગાળો આવ્યો કોંગ્રેસના જાદૂ ખેલોનો.આ ખેલ શરૂમાંસારો ચાલ્યો,અચાનક મુખ્ય જાદૂગર મૂંગો થઈ ગયો.કોઈ મૂંગી ફિલ્મનાં નાયકની જેમ મુખ્ય જાદૂગરણીને પૂછી-પૂછીને કામ કરવા લાગ્યો.નહેરૂ ખાનદાનનો યુવાન જાદૂગર (૪૨ વર્ષનો) મુખ્ય જાદૂગર બનવાનાં શમણાં જોવા લાગ્યો.લોકોની આંખોમાં સંતુલિત વિકાસનાં સપનાઓ હતાં,દેશ મહાસત્તા બનશે એવી આશા હતી.પરંતુ દેશનાં અર્થતંત્રને મોંઘવારી,ભ્રષ્ટાચાર,કાળા બજારીનું દૂષણ લાગી ચૂક્યું હતું.ત્યાં કોઈ જાદૂ કામ આવ્યો નહીં.એક બૂઢો જાદૂગર લોકપાલ નામનો જાદૂ શીખવાડી ગયો ,પણ તે જાદૂ અધૂરો હતો.

હવે દેશમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ભવિષ્યનો જાદૂગર કેવો હશે.હિંદુત્વવાદી કે સેક્યુલર જાદૂગર.દેશની મોંઘવારી,આર્થિક મંદી,નકસલવાદ જાય ના જાય કંઈ નહીં,પણ જાદૂગર કેવો હોવો જોઈએ તે મહત્વનું છે.હિંદુત્વવાદી જાદૂગર બનવા માટે દેશનાં કહેવાતા વિક્સીત પ્રદેશનો એક જાદૂગર આગળ આવ્યો(કે આગળ ધકેલવામાં આવ્યો) જેણે પોતાના અપ્રતિમ જાદૂના પરચાઓ ઉદ્યોગપતિઓને આપ્યાં હતાં.તે ભગવા કપડાં પહેરેલો હિંદૂ જાદૂગર છે.તેની પાસે હિંદૂઓને વશમાં રાખવાનો જાદૂ છે.સેક્યુલારીસ્ટોને આ જાદૂગર આંખનાં કણાંની જેમ ખૂંચવા લાગ્યો.તેમણે આ જાદૂગરને ફોક કરવાં માટે અનેક જાદૂ વિદ્યાઓ અજમાવી.છેવટે એક લીલાં કપડાં પહેરેલા જાદૂગરે 'મુખ્ય જાદૂગર તો સેક્યુલર જ હોવો જોઈએ' તેવું વાક્ય ઉચ્ચારીને પોતાને પણ મુખ્ય જાદૂગર બનવાની ઈચ્છા છે તેવું છૂપી રીતે જાહેર કર્યુ.આ જાદૂગર સેક્યુલરના નામે મુસ્લિમોને મત આપવા માટે મજબૂર કરવાનો જાદૂ અજમાવી રહ્યો છે.

જાદૂઈ ખેલ હજું ચાલું જ છે.જાદૂગરો બદલાતાં જાય છે,તેમનાં રંગ બદલાતાં જાય છે.તેપણ ઈસ્ટમેન કલરમાં.

Share/Bookmark

વાસેપુરની વુમનિયા

2 ટિપ્પણી(ઓ)
હિંદી સિનેમા માટે નવાં-નવાં પ્રયોગોની આ મોસમ છે.હાલમાં જ આવેલી અનુરાગ કશ્યપ દિગ્દર્શીત "ગેંગ્સ ઓફ વાસેપુર"આવી જ એક પ્રયોગશીલ ફિલ્મ છે.બિહાર-ઝારખંડના પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મ તેના વાર્તા નાવિન્ય અને  કહાનીની માવજતની દ્ર્ષ્ટીએ તો અલગ છે જ પરંતુ ફિલ્મનું સંગીત પણ તેની નવિનતાને લીધે લોકજીભે ચડેલું છે.
વુમનિયા પરીદ્ર્શ્ય

ઓહ..વુમનિયા,,આહ..વુમનિયા,બિહાર કે લાલા...જેવા સરળ અને હ્ર્દયસ્પર્શી ગીતો માટે અનુરાગ કશ્યપ અને ફિલ્મનાં સંગીત નિર્દેશક સ્નેહા ખાનવાલકર ખરેખર અભિનંદનને પાત્ર છે."ગેંગ્સ"ના ગીતો સરળ રીતે લોકજીભે ચઢવાનું મુખ્ય કારણ એ છે કે દરેક ગીત 'ચટની મ્યુઝીક' ના ઉપયોગ દ્વારા બનાવવામાં આવ્યું છે.ચટની મ્યુઝીક એ બિહાર-ઝારખંડની પરંપરાગત શૈલીની બોલીથી પ્રભાવિત છે.ચટની મ્યુઝીક એટલે ઢોલક,હારમોનિયમ જેવા પરંપરાગત વાદ્યોનો જ ઉપયોગ કરીને બનાવાતું સુમધુર સંગીત.
'ગેંગ્સ'ની યુવાન મ્યુઝીક ડાયરેકટર સ્નેહા ખાનવલકર


ચટની મ્યુઝીક સાથેનાં ગીતો મોટાભાગે ભોજપુરી,હિંદી અને ક્યારેક અંગ્રેજી ભાષામાં હોય છે.મુખ્ય તંતુવાદ્ય તરીકે ધાનતાલ નામનાં ઢોલક કૂળનાં વાદ્યનો ઉપયોગ થાય છે.ચટની મ્યુઝીક યુ.પી,બિહારથી વેસ્ટ ઈન્ડિઝ ગયેલાં હિંદીઓનાં જીવનનો એક હિસ્સો છે તેમ પણ કહી શકાય.મૂળ ભોજપુરી મૂળનાં લોકોએ દેશ-પરદેશ જઈને પણ આ સંગીતને જીવંત રાખ્યું.ચટની મ્યુઝીકનાં શબ્દો મુખ્યત્વે ભોજપુરી ભાષામાં જ હોય છે.

ધાનતાલ પર તાલ મેળવી રહેલો કલાકાર


'ગેંગ્સ'માં ગીતકાર તરીકે પોતાની જવાબદારી બખૂબી નિભાવનાર વરૂણ ગ્રોવર પણ ભોજપુરી છે.આ ફિલ્મનાં ગીતો લખવાં માટે તેમણે સંગીત નિર્દેશક સાથે ચટની મ્યુઝીક અંગે રીચર્સ કર્યું અને પરંપરાગત ચટની મ્યુઝીકમાં થોડો ફેરફાર પણ કર્યો ,અલબત્ત શાબ્દિક રીતે ગીતોને ભોજપુરી અને હિંદી-અંગ્રેજી મિશ્રિત શબ્દોનાં વાઘા જ રાખ્યાં.ફિલ્મનાં સંગીત રેકોર્ડીંગ વેળા અનુરાગ પણ સ્ટુડિયોમાં જ રહેતા.જરૂરી સૂચનો કરતાં.'આઈટમ હંટર' ગીતનો આઈડિયા અનુરાગનો જ હતો.



ફિલ્મનાં એક દ્ર્શ્યમાં અભિનેત્રી હુમા કુરૈશી
તમે હજુ સુધી 'ચટની મ્યુઝીક'થી પરિચીત ના થયાં હો તો આજે જ 'ગેંગ્સ'ની વુમનિયા સાંભળી લેજો,બિહાર કે લાલા સાંભળી લેજો :)

Share/Bookmark

ભોજપુરી ટુ હિંદી

Comments
રવિ કિશન
હિંદી ફિલ્મ એજંન્ટ વિનોદના શરૂઆતી દ્ર્શ્યોમાં ભારતીય જાસૂસી સંસ્થા 'રો'ના એક એજંન્ટ નામે રાજન તરીકે એક પાત્ર નજરે પડે છે.થોડાક દ્ર્શ્યો પછી તે પાત્રનું કામ પુરૂં થઈ જાય છે,પરંતુ તે ફિલ્મ વિશે વિચારતા તે અભિનેતા અને પાત્ર સતત નજર સમક્ષ આવે છે.ભલે પાત્રાલેખન નાનું હતું પરંતુ સબળ હતું.એવી જ રીતે થોડાંક સમય પહેલા આવેલી ફિલ્મ 4084માં એક એવું સબળ પાત્ર તેની નોંધપાત્ર હાજરી નોંધાવતું રહ્યું.નસરુદ્દીન શાહ,અતુલ કુલકર્ણી અને કે.કે મેનન જેવા થિયેટરોમાં અભિનય કરીને ઘડાયેલાં કલાકારોની વચ્ચે આ કલાકારે પોતાની હાજરી સ્ટ્રોંગ્લી પુરવાર કરી બતાવી.

જીં હાં,,ઉપર ઉલ્લેખ કરેલી બંને હિંદી ફિલ્મોમાં એક બાબત કોમન છે અને તે છે ભોજપુરી સુપરસ્ટાર બિહારી લાલા"રવિ કિશન".રવિ કિશને બંમ્બૈયા દર્શકોને ક્યારેય એવું લાગવાં નથી દીધું કે તે ભોજપુરી સુપરસ્ટાર છે.રવિ કિશન ભોજપુરી ફિલ્મોના રાજ્જા છે પરંતુ તેની અભિનય ક્ષમતાનું પ્રમાણ મળે છે હિંદી ફિલ્મોમાં.શ્યામ બેનેગલ દિગ્દર્શિત ફિલ્મ 'વેલકમ ટુ સજ્જનપુર' હોય કે મણિરત્નમની 'રાવણ' દરેક હિંદી ફિલ્મોમાં રવિ કિશન એ જ સહજતાથી અભિનય કરે છે.

 

Share/Bookmark

શું સંગ્મા બનશે મહામહિમ??

Comments
પી.એ.સંગ્મા
આને જ કદાચ લોકતંત્ર કહેવાય.પોતાની પાર્ટી સાથે છેડો ફાડિને પી.એ.સંગ્મા (પુર્નો અગિતોક સંગ્મા) રાષ્ટ્રપતિ બનવાની મહાત્વાકાંક્ષા સાથે મેદાને પડ્યા છે.જોકે સંગ્મા સાહેબ તો પોતાને આ દોડમાં બહુ જ પહેલેથી સામેલ કરી ચૂક્યા હતા,પરંતુ બીજેડી અને એઆઈડીએમકે એ સમર્થન આપીને સંગ્માને ફોર્મમાં રાખ્યા જ્યારે એનડીએ(બીજેપી,અકાલી દળ)નો ટેકો મળતા સંગ્મા રંગમા આવી ગ્યાં!

 જો કે સંગ્મા જે આદિવાસી કાર્ડ સાથે મેદાને પડ્યા છે તેની ઉમેદવારીને સંગ્માની ઘરની પાર્ટી એનસીપી એ જ ટેકો નથી આપ્યો.આ સાથે જ સંગ્માનો એનસીપી સાથેનો ૧૩-૧૪ વર્ષ જુનો સંબંધ પૂરો થઈ ગયો.જ્યાં એક તરફ કોંગ્રેસ તેના સાથી પક્ષો સાથે પ્રણવ મુખર્જી માટે કેમ્પેઈન કરતું નજરે પડે છે તો બીજી તરફ સંગ્મા વન મેન આર્મીની જેમ એકલપંડે પ્રચાર કાર્યમાં લાગી ગયાં છે.બીજેપીના આદિવાસી નેતા કારીયા મુંડાને મળે છે તો ક્યારેક સીપીઆઈ(એમ)ના પ્રકાશ કારાત સાથે બેઠક કરતાં જોવા મળી શકે.પ્રણવ મુખરજી અને કોંગ્રેસથી છંછેડાયેલા મમતા બેનર્જીને મનાવવા માટે મંત્રણા પણ કરી શકે છે.રાષ્ટ્રપતિ ભવન તરફની સંગ્મા સાહેબનો ઘોડો દોડી રહ્યો છે.દશેરાને દિ દોડશે કે કેમ તે એક પ્રશ્ન છે.

એ વાત પણ સાચી છે કે મુઘલ ગાર્ડનમાં લટાર મારવાનો મોકો આજ સુધી કોઈ આદિવાસીને મળ્યો નથી.શું સંગ્મા ઈતિહાસ બદલી શકશે? જો તેમ થશે તો એ સંગ્મા અને આદિવાસી પ્રજા માટે એક ઉપલબ્ધિ રહેશે.સંગ્માની આ દોડમાં સૌથી મોટો અંતરાય કોંગ્રેસ છે.એ કોંગ્રેસ જેની છ્ત્રછાયામાં સંગ્મા સાહેબ રાજનીતિ જ નહીં સત્તાના અનેક શિખરોને આંબવામાં સફળ રહ્યાં છે.મેઘાલયનાં મુખ્યમંત્રી બનવાથી લઈને લોકસભાના સ્પીકર બનવા સુધીની ગરિમાપૂર્ણ યાત્રામાં કોંગેસનાં વફાદાર સિપાહી બની રહ્યાં.જ્યારે ૨૦૦૩માં સોનિયાના વિદેશી મૂળના વિવાદને લઈને શરદ પવાર સાથે સંગ્માએ એનસીપીનો અલગ ચોકો રચ્યો હતો.

સંગ્માને મમતા આણિ મંડળી(ટીએમસી)નો ટેકો મળે તો પણ નવાઈ ના જ ગણાય,કારણ કે છેલ્લાં થોડા સમયથી મમતા જે રીતે યુપીએના મોટાભાગનાં નિર્ણયોની વિરૂધ્ધમાં પોતાનું વલણ પ્રગટ કરતાં આવ્યાં છે તે જોતાં સંગ્માને મમતાનું વહાલ મળી શકે.અલબત્ત તે મમતાની મજબૂરી પણ હોય શકે.

સંગ્માને ટેકો આપવા પાછળ બીજેપીનો પણ રાજનીતિક સ્વાર્થ રહેલો છે.લાખોં કોશિશ છતાંય બીજેપી પૂર્વોત્તરમાં મજબૂત જનાધાર માટે તરફડિયાં મારે છે.બીજેપી ભવિષ્યમાં સંગ્માનો ઉપયોગ પૂર્વી રાજ્યોમાં પોતાની હાજરી નોંધાવવા માટે કરી શકે.

જે પણ હોય સંગ્મા માટે હાલ પૂરતી 'આશા અમર છે' અને જો નસીબ(અને થોડાંક વધુ પક્ષો) સાથ આપશે તો પ્રણવ'દા ને બદલે સંગ્મા પ્રથમ આદિવાસી રાષ્ટ્ર્પતિ તરીકે મુઘલ ગાર્ડનમાં આટાં મારી શકશે.

Share/Bookmark

શ્રી શ્રી રવિશંકર મહારાજ નું શિવ પૂજન

Comments

વહાલા મિત્રો
ગઈ રાતે સંસ્કાર ચેનલ ઉપર બેંગ્લુરુમાં શ્રી શ્રી રવિશંકર મહારાજ નું શિવ પૂજન જોયું
ખબર નહિ પણ કેમ થોડું ઓકવર્ડ ફીલ થયું તમે લોકો એ કદાચ જોયું હશે પણ હું અહી જેવી રીતે કોઈ પછાત ગામડાના જોગી( ડાકલીયા)ની ડાક ઉપર ગામનો ભૂવો ધૂણે કંઈક તેવુજ દ્રશ્ય જોવા મળ્યું.કાળભૈરવાષ્ટ્ક તેમજ શિવાષ્ટક ઉપર અત્યંત આધુનિક સાધનો થી સુસજ્જ શ્રી શ્રી રવિશંકર મહારાજનું ભક્ત મંડળ જુદા-જુદા વાજિત્રો પોતાના સુર રેલાવતું હતું અને જયારે કાળભૈરવાષ્ટ્ક રજુ થયું ત્યારે રીતસર કહી શકાય કે શ્રી શ્રી રવિશંકર મહારાજ ધુણવા માંડ્યા હતા.જાણે તાંડવ કરતા હોય તેવી મુદ્રામાં અને સામે સાક્ષાત શિવ દર્શન આપી રહ્યા હોય તેવી મુદ્રા કરી રહ્યા હતાં. શું આ એ છે જે આપણ ને "આધ્યાત્મિક " જ્ઞાન આપે છે અને ભાવી ભારત ના "આધ્યાત્મિક " ગુરુ .....???? કે પછી એક ભૂવો .........!!!!!!!
ત્યાં અંદાજિત લાખોની સંખ્યામાં શ્રી શ્રી ના અનુયાયીઓ મોજૂદ હતાં પરંતુ તે માણસો હતાં કે કેમ તે પ્રશ્ન છે?? તેમની વિવેકબુધ્ધિ વિશે શું કહેશું.









Share/Bookmark

હેલ્લો કેમ છો?

Comments
મિત્રો સ્વાગત છે આપ સૌનું!
સૌ પ્રથમ મારો પરીચય આપી દઉં.

હું કોણ?

હું કોણ?? માણસોની સતત ભીડની વચ્ચે સ્વને શોધતો એક એકાંતપ્રિય વ્યક્તિ.નાનપણથી વાંચનનો કીડો કરડી ગયો વાંચનનો કિડો ક્યારે લેખનની પ્રવૃતિ તરફ ખેંચી ગયો તેની ચોક્ક્સ તવારીખ યાદ નથી.પરંતુ મને લખવું ગમે છે,કારણ કે મને વાંચવુ ગમે છે.વાંચુ છું,વિચારુ છું અને જે મનમાં આવે તે ધસડી નાંખું છું(લખી નાખું છું)આ શબ્દ લખવાનો ઉદ્દેશ એ જ કે હું નથી પ્રોફેશનલ રાઈટર કે નથી જર્નાલિસ્ટ.એકાંતપ્રિય વ્યક્તિ છું અને ઈન્ટરનેટના અગાધ દરીયામાં ડૂબકી મારતી એક માછલી છું.સૌરાષ્ટ્રનાં કાશ્મીર મહુવામાં જન્મ અને ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ.યુનિવવર્સિટીના અભ્યાસે મને શિક્ષીત અને પરીપક્વ કર્યો તેમ કહી શકાય.આપણે બધા એક જીંદગીમાં અનેક કિરદાર(રોલ) નિભાવીએ છીએ.આ દરેક રોલને એક અલગ શરીર અને આત્મા આપવાની ખ્વાહીશ.


Share/Bookmark