કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

પાની રે પાની તેરા રંગ કૈસા??

આમિર ખાનનાં સત્યમેવ જયતે શો માં આજે પાણી અંગેનો મુદ્દો ગંભીર રીતે સમજાવવામાં આવ્યો.પવિત્ર નદીઓનાં દેશ માથે પાણીનું ભયંકર સંકટ તોળાઈ રહ્યુ છે.દેશમાં હજારો ગામડાંઓ ઉસ્માનનગરની જેમ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.પાણી માટે ૫-૧૦ કિલોમીટરની સફર એ તેમના દૈનિક જીવનનો હિસ્સો બની ગઈ છે.પાણી માટે મારપીટ થાય છે,ખૂન-ખરાબાં થાય છે.હત્યાઓ થાય છે.પાણીનો રંગ લાલ થાય છે.નિર્મલ પાણી કોઈના મોતનું કારણ બની શકે છે તે કલ્પના પણ કેટલી આઘાતજનક છે!

ગામડાંઓની હાલત આ છે તો શહેરોની પરીસ્થિતી કંઈ વધુ સારી નથી.મુંબઈને પાણી પુરૂ પાડતાં ભાતસા,તુલસી વગેરે ડેમો પણ ડચકાં ખાય છે.સમયસર વરસાદ ના આવવાનાં કારણે ખેડૂતો અને અન્ય શ્રમજીવી લોકોની હાલત દયાજનક થઈ ચૂકી છે.દિલ્હી,બેંગ્લુરૂની મ્યુનિસીપાલીટી કુત્રિમ વરસાદ વરસાવવાનું આયોજન કરી રહી છે જેથી પાણીની વિકટ સમસ્યાનો કંઈક ઉકેલ આવે.

સત્યમેવ જયતેમાં દર્શાવાયું તેમ મહારાષ્ટ્રના ૫૦૦૦ ગામડાઓની જીવનશૈલી પાણીના ટેન્કરો ઉપર આધારીત છે.જે દિવસે ટેન્કર આવે તે દિવસે લોકોને બધા કામો છોડીને પાણી માટે લાઈનમાં લાગી જવું પડે છે.બિહારમાં ખેતરમાંથી પાણીની ચોરી રોકવા માટે ખેડૂતોએ બંદૂકો ઉઠાવવી પડી છે.પાણી માટે એકબીજા રાજ્યો ઝઘડી રહ્યા છે.

યમુના,ગંગા જેવી મુખ્ય નદીઓની હાલત ગંધાતી ગટરો જેવી બદતર થઈ ગઈ છે.૧૫૦૦ કિલોમીટર લાંબી યમુના નદીનો ૭૦૦ કિમીનો વિસ્તાર 'ડાર્ક ઝોન'જાહેર થઈ ચૂક્યો છે.મતલબ કે એ વિસ્તારનું પાણી માણસ તેમજ અન્ય સજીવો માટે ઝેર સમાન છે.વૃંદાવનમાં યમુના-જળનું ચરણામૃત લેવાય છે,જેમાં ૭૦-૮૦% પાણી દિલ્હીની ગંધાતી ગટરોનો કૂડો-મેલ હોય છે.એવી જ હાલત બનારસમાં ગંગા નદીની છે.ગંગા,યમુનાનું ઐતિહાસીક મહત્વ છે,તેની હાલત આપણે કચરાટોપલી જેવી કરી નાંખી છે.લગભગ દરેક મોટી નદીઓની હાલત એ જ છે.

કરોડો વર્ષોનાં ભૂસ્ખલન અને અનેક પ્રક્રિયાઓ બાદ જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે તેનું ઉપલું પડ દાધિયા જેવું બન્યું.ઉપરની માટીનું આવરણ વરસાદનાં પાણીને જમીનનાં નીચેનાં પડમાં સાચવી રાખતું હતું.નીચેના 'અંડરગ્રાઉન્ડ તળાવો'માં આ પાણીનો સંગ્રહ થતો હતો.આ સાહજીક પ્રક્રિયા સામે યક્ષપ્રશ્ન ત્યારે ઊભો થયો જ્યારે માનવી કોંક્રિટના રવાડે ચઢ્યો! કોંક્રિટના રસ્તાઓ,મકાનો જમીનના ઉપલા પડને પાણી શોષવાની પ્રક્રિયામાં અંતરાય બનવા લાગ્યાં.અધૂરામાં પૂરુ માણસે જમીનની અંદરથી પાણી મેળવવા માટે ખોદકામ શરૂ કર્યુ.બોરવેલ,કૂવાઓ વગેરે ઉપાયોને કારણી જમીને ચારણી બનાવી દીધી.

પૃથ્વી પર ૭૧% પાણી છે તે વાત આપણે જાણીએ છીએ.પરંતુ આ ૭૧%માંથી માત્ર ૩% પાણી પીવા લાયક છે અને તેમાં પણ ૨.૩% પાણી બરફના સ્વરૂપે છે.એ રીતે જોઈએ તો ૭૦૦ કરોડ માણસો અને અન્ય કરોડો સજીવો માટે ૧.૭% પાણી ખરેખર ઉપયોગી છે.હાલત ત્યારે બદતર થઈ જાશે જ્યારે સતત વધતી જતી વસ્તીની આડ-અસરો,કારખાનાં-મીલોનાં ગંધાતા પાણીના પાપે નદીઓ,તળાવોનું પાણી પીવાલાયક કે દૈનિક ક્રિયાઓ માટે ઉપયોગ કરવાને લાયક નહી રહે.

શું થશે ત્યારે??

ત્યારે એક બાલદી પાણી માટે ખૂન થશે.બહારગામ ગયેલાં પડોશીના બંધ મકાનમાંથી બે દિવસના વાસી પાણીની ચોરી થશે.દરેક વ્યક્તિએ અઠવાડિયામાં ૨ દિવસ જ નાહવાનું તેવો વટહુકમ બહાર પડશે.પાણી બચાવો વિધેયક પાસ થશે.ચૂંટણી જીતવા માટે દરરોજ પાણી સપ્લાઈના પોકળ છતાંય લાલચી ઢંઢેરાઓ પીટાશે.સમાચારપત્રોના પાનાંઓ પાણી અંગેની ખબરોથી ઉભરાઈ જશે.ટેન્કરનું પાણી ભરવા માટે માથાભારે લોકો બંદૂકો,તલવારો,ધારીયાં જેવા તીક્ષ્ણ હથીયારોનો ઉપયોગ કરશે.પાણીનાં કૌભાંડો બહાર પડશે,દેશને નવો એ.રાજા કે કલમાડી મળશે.પાણી પુરવઠાના બજેટનું ઈમ્પોટન્ટ વધી જશે.૩૦૦ લીટર કરતાં વધારે પાણી ધરાવતા લોકો સ્ટેટ્સ સીમ્બોલ બની જશે.તેઓ ખરેખર "પાણીવાળા" કહેવાશે.પવિત્ર નદીઓનું પાણી મ્યુઝીમમાં જ જોવા મળશે.:) = :(

છેવટે પેલું પાણી લાલ રંગે નાહીને સમ્રગ માનવજાત સામે અટ્ટહાસ્ય કરશે.


Share/Bookmark

Comments

Loading... Logging you in...
  • Logged in as
There are no comments posted yet. Be the first one!

Post a new comment

Comments by