કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
-રાજેન્દ્ર શુક્લ

પ્રેમમાં હોઈએ ત્યારે મૌન રહેવું એ રૂઠવાની એક કળા છે.ભરી સભામાં મૌન બેસી રહેનારા માટે ભર્તૂહરિએ 'નિતીશતક'માં અજ્ઞાની શબ્દ વાપર્યો છે.મૌનમાંથી અર્થ સરતો હોય તો મૌન રહેવું સારૂં છે.વાણી અને મૌન વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.જેને ક્યાં કેવું બોલવું એ આવડતું નથી એને ક્યારે મૂંગા રહેવું એ પણ ના સમજાય! પત્નીનું મૌન કે અબોલા પતિ માટે એલર્ટ હોય છે તો માતા-પિતાનું મૌન ક્યારેક સંતાનોને અવળે માર્ગે ચડવી દે.અબોલા કે કિટ્ટા થવું એ મૌન નથી જ.મૌન પર બળજબરીપૂર્વકનો અત્યાચાર એ અબોલા! ફલાણી વ્યકતિએ ઉધાર પાછા વાળ્યા નથી, પેલી છોકરી રોજ મારી સાથે બસમાં હોય છે, ઓફિસમાં સહકર્મચારી મારી સાથે ખપપૂરતી જ વાત કરે છે.સામેવાળી વ્યક્તિ મને ભાવ ના આલે તો હું શું કામ તેમની સાથે બોલું?? આ મૌન નથી.

સોક્રેટીસ પાસે આવીને એક યુવાને કહ્યું, ‘મારે પ્રખર વક્તા થવું છે. મારી વાકપ્રતિભા વિકસે એ માટે આપ શું માર્ગદર્શન આપશો ?
સોક્રેટીસે કહ્યું :‘મૌન રહેતાં શીખો. મૌન રહેશો તો જ બીજાને સાંભળતા શીખશો.'

માણસ મૌન હોવો જોઈએ અને તેનું કામ બોલવું જોઈએ.મૌન એ યોગ છે.ઘણી વખત મૌન ઓગળી જાય કે અબોલા છૂટે પછી માણસ વરસતો હોય છે.ભીંજાતો હોય છે.લથબથ થતો હોય છે.તમારી પોતાની અંગત વ્યક્તિ નારાજ હોય ત્યારે પ્રયાસ કરી જોજો.વાણી એ બગીચો છે.આ બગીચામાં શબ્દોરૂપી ફૂલ ખિલે છે.

અમુક સાધુબાવાઓ ખાલીખોટાં મૌન વ્રતો ધારણ કરીને બેસી જાય છે.વધુ ભક્તગણ મેળવવાની લાલચમાં કે દક્ષિણા મેળવવા આવું સગવડિયું મૌન પાળતાં હોય છે.મૌનને સબટાઈટલ્સ રાખવાની જરૂર છે.વડીલોનું મૌન પાછળની પેઢીને અકળાવી શકે છે.અમુક સિધ્ધેશ્વરો પ્રતિષ્ઠાની ભૂખ માટે બકવાસ કર્યા કરતાં હોય છે તો અમુક માણસો મર્યા બાદ સમ્રગ પંથકમાં ખબર પડે કે તેઓ કેટલો મહાન આત્મા હતાં.સારાં માણસોને જીભ વડે 'માર્કેટીંગ' કરવાની જરૂર પડતી નથી.

ફેસબુક,ટ્વીટર,બ્લોગ્સ અને નેટયુગમાં મૌન આકાર બદલે છે.કોઈ બાબતમાં ટપ્પો ના પડતો હોય તેમાં ટીકા-ટીપ્પણી ના કરીએ એ મૌન જ ગણાય.અહીં માઉથ શટ જ રહે છે પરંતુ હાથનાં આંગળા ઝાલ્યાં ના રહે! મૌન શીખવું જોઈએ.જે ના સમજાય ત્યાં લાઈક પણ શું લેવાં આપવી?? કમેન્ટમાં ઉતરીને યુધ્ધ કરવું તો બહુ દૂરની વાત છે.

કેટલાંક મૌન અંગેનાં શેર,મુક્તકો ગોત્યાં છે-------------

આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો
- અમૃત ‘ઘાયલ’

ડૂબી ગયો અવાજ એ શબ્દના સાગરેને
આ કિનારે મૌનના પડઘા રહી ગયા
- રમેશ શાહ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ
- આદિલ મંસુરી

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી
- હરીન્દ્ર દવે

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !
- ડૉ. વિવેક ટેલર

રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.
-રઈશ મનીયાર

Share/Bookmark