કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

Humpty Sharma Ki Dulhania

Comments
હમ્પટી શર્મા અને તેની દુલ્હનીયાં બકવાસ,બંડલ અને ફ્લોપ ફિલ્મોમાં એક ઔર ફિલ્મનો વધારો કરે છે.પપ્પાએ કમાયેલાં પૈસાનો બગાડ કરવો હોય તો જઈ અવાય.

હમ્પટી ઉર્ફે રાકેશ શર્મા(વરૂણ ડેવિડ ધવન) ફાઈનલ યર ગ્રેજ્યુએશનનો સ્ટુડન્ટ છે.તેને ભણવામાં કોઈ ઈન્ટરેસ્ટ નથી(વાહ!!) હમણાં આવેલી મૂવિ 'મૈં તેરા હીરો'નાં નાયકની જેમ કોઈ નિશ્ચિત 'ગોલ' નથી,એમ્બીશન નથી. તે વિદ્યા બુક સ્ટોરનો 'એકલૌતો વારીસદાર' અને ગૂડ એટ હાર્ટ છે.હાર્ટથી ગૂડ તો દરેક હિન્દી ફિલ્મનો હીરો હોય છે.છોકરીઓ એવાં જ લોકોનાં પ્રેમમાં પડે! કાવ્યા પ્રતાપ સિંહ(આલીયા ભટ્ટ) એ ફિલ્મનો બીજો નમૂનો! તેનાં મેરેજ અંગદ બેદી થવાનાં હોય છે,પહેરવાં સારી સાડી ગમતી નથી કાવ્યાને કરીના કપૂરની જેવો 'ડિઝાઈનર લહેંગો' લેવો છે. ફેમીલાવાળા તેના આ નખરાંને ના પાડી દે છે.પેલી અવળચંડાય કરીને ૫ લાખ રૂપિયાનો જુગાડ કરે છે. જીનીયસ...!!

તો, એ અંબાલાથી દિલ્હી આવે છે.રસ્તામાં હમ્પટી'ડા સાથે મુલાકાત થાય છે.લવ. દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેની કોપી...!!

આલીયા ભટ્ટ અને વરૂણ ધવન આ બંનેમાં એઝ અન એકટર થોડો ગ્રોથ દેખાય છે.કેટલાંક સીનમાં લાઉડ હોય છે.વરૂણ ધવન એ સલમાન ખાન,ગોવિંદા અને રણબીર કપૂરની જનરેશનને આગળ વધારે છે.આલીયા ભટ્ટને એટલુંજ કહેવાનું કે 'યુ આર ફલેટ બ્યુટી' ફિગર સાથે કંઈ ચેડાં નહીં કર તો આગલી જનરેશનની 'સોનમ કપૂર' બનતાં વાર નહીં લાગે..!!

ફિલ્મનો ડિરેકટર એ DDLJ થી બહુ જ ઓબ્સેસ્ડ દેખાય છે.બોલીવૂડ મૂવિમાં ઓરીજનલ કથાવસ્તુની અપેક્ષા રાખવી પણ અતિશયોક્તિ જ છે.ફિલ્મમાં સ્ટોરી બેઠી ઉઠાવી લેવાય છે,પંજાબી વેડીંગથી હિન્દી ફિલ્મો કયારે બહાર આવશે?? પંજાબી ગીતો, પંજાબી મહેંદી, હલ્દી,ખાના-બજાનાં.ડાયલોગ્સ ચીપ છે.મ્યુઝિક ડિરેકટરોએ સારૂં કામ કર્યું છે.

===> વરૂણ-આલીયા આવતીકાલનાં જુવાનીયાવંને શાહરૂખ-કાજોલ સાથે સરખાવી શકાય?? કોઈ શાહરૂખખાન કે કાજોલને રીપ્લેસ ના કરી શકે.આ સર્વવિદીત છે.તમે એ લોકોને રીસ્પેક્ટ ના આપો તો કંઈ નહિં પણ દરેક ગ્રેટ સ્ટોરીની રીમેક કે ઉઠાંતરી કરીને તેઓની ઈન્સલ્ટ તો ના કરો.

છેલ્લે, હમપ્ટી શર્માની દુલ્હનીયા થિયેટરમાં જોઈને જોવાં માટેનાં તમારાં પૈસા ડિઝર્વ કરતી નથી.ટીવી પ્રિમીયરમાં કાં ડાઉનલોડ કરીને જોઈ લો.

પૂર્ણવિરામઃ

પુનિત મલ્હોત્રા કે શંશાક ખૈતાન જેવાં નવાં ડિરેકટરો ધર્મા પ્રોડકશનને નુકશાન કરાવે છે અને એ ખોટ ભરપાઈ કરવાં ફરીથી કરણ જોહરે એકા'દ ફિલ્મ ડિરેક્ટ કરવી પડે છે!


Share/Bookmark
Comments

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
-રાજેન્દ્ર શુક્લ

પ્રેમમાં હોઈએ ત્યારે મૌન રહેવું એ રૂઠવાની એક કળા છે.ભરી સભામાં મૌન બેસી રહેનારા માટે ભર્તૂહરિએ 'નિતીશતક'માં અજ્ઞાની શબ્દ વાપર્યો છે.મૌનમાંથી અર્થ સરતો હોય તો મૌન રહેવું સારૂં છે.વાણી અને મૌન વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.જેને ક્યાં કેવું બોલવું એ આવડતું નથી એને ક્યારે મૂંગા રહેવું એ પણ ના સમજાય! પત્નીનું મૌન કે અબોલા પતિ માટે એલર્ટ હોય છે તો માતા-પિતાનું મૌન ક્યારેક સંતાનોને અવળે માર્ગે ચડવી દે.અબોલા કે કિટ્ટા થવું એ મૌન નથી જ.મૌન પર બળજબરીપૂર્વકનો અત્યાચાર એ અબોલા! ફલાણી વ્યકતિએ ઉધાર પાછા વાળ્યા નથી, પેલી છોકરી રોજ મારી સાથે બસમાં હોય છે, ઓફિસમાં સહકર્મચારી મારી સાથે ખપપૂરતી જ વાત કરે છે.સામેવાળી વ્યક્તિ મને ભાવ ના આલે તો હું શું કામ તેમની સાથે બોલું?? આ મૌન નથી.

સોક્રેટીસ પાસે આવીને એક યુવાને કહ્યું, ‘મારે પ્રખર વક્તા થવું છે. મારી વાકપ્રતિભા વિકસે એ માટે આપ શું માર્ગદર્શન આપશો ?
સોક્રેટીસે કહ્યું :‘મૌન રહેતાં શીખો. મૌન રહેશો તો જ બીજાને સાંભળતા શીખશો.'

માણસ મૌન હોવો જોઈએ અને તેનું કામ બોલવું જોઈએ.મૌન એ યોગ છે.ઘણી વખત મૌન ઓગળી જાય કે અબોલા છૂટે પછી માણસ વરસતો હોય છે.ભીંજાતો હોય છે.લથબથ થતો હોય છે.તમારી પોતાની અંગત વ્યક્તિ નારાજ હોય ત્યારે પ્રયાસ કરી જોજો.વાણી એ બગીચો છે.આ બગીચામાં શબ્દોરૂપી ફૂલ ખિલે છે.

અમુક સાધુબાવાઓ ખાલીખોટાં મૌન વ્રતો ધારણ કરીને બેસી જાય છે.વધુ ભક્તગણ મેળવવાની લાલચમાં કે દક્ષિણા મેળવવા આવું સગવડિયું મૌન પાળતાં હોય છે.મૌનને સબટાઈટલ્સ રાખવાની જરૂર છે.વડીલોનું મૌન પાછળની પેઢીને અકળાવી શકે છે.અમુક સિધ્ધેશ્વરો પ્રતિષ્ઠાની ભૂખ માટે બકવાસ કર્યા કરતાં હોય છે તો અમુક માણસો મર્યા બાદ સમ્રગ પંથકમાં ખબર પડે કે તેઓ કેટલો મહાન આત્મા હતાં.સારાં માણસોને જીભ વડે 'માર્કેટીંગ' કરવાની જરૂર પડતી નથી.

ફેસબુક,ટ્વીટર,બ્લોગ્સ અને નેટયુગમાં મૌન આકાર બદલે છે.કોઈ બાબતમાં ટપ્પો ના પડતો હોય તેમાં ટીકા-ટીપ્પણી ના કરીએ એ મૌન જ ગણાય.અહીં માઉથ શટ જ રહે છે પરંતુ હાથનાં આંગળા ઝાલ્યાં ના રહે! મૌન શીખવું જોઈએ.જે ના સમજાય ત્યાં લાઈક પણ શું લેવાં આપવી?? કમેન્ટમાં ઉતરીને યુધ્ધ કરવું તો બહુ દૂરની વાત છે.

કેટલાંક મૌન અંગેનાં શેર,મુક્તકો ગોત્યાં છે-------------

આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો
- અમૃત ‘ઘાયલ’

ડૂબી ગયો અવાજ એ શબ્દના સાગરેને
આ કિનારે મૌનના પડઘા રહી ગયા
- રમેશ શાહ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ
- આદિલ મંસુરી

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી
- હરીન્દ્ર દવે

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !
- ડૉ. વિવેક ટેલર

રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.
-રઈશ મનીયાર

Share/Bookmark
Comments
જેફ બેઝોસ નામનાં 'સરફિરા' એ ૧૯૯૪માં ઘરની પાછળના ખખડધજ ગેરેજમાં એક ઓનલાઈન સ્ટોરની શરૂઆત કરી.પ્રારંભિક કાળે ખૂબ જ મુશ્કેલી અનુભવી.ઓનલાઈન વેચવાનો કે ખરીદ કરવાનો ખ્યાલ આજથી ૧૮ વર્ષ પહેલાં કેટલો મુશ્કેલ હશે! છતાં જેફે હિંમત હાર્યા વિના સ્ટોર ચાલુ રાખ્યો.બરાબર એક વર્ષ બાદ ૧૯૯૫માં પહેલાં પુસ્તકનું ઓનલાઈન વેચાણ થયું.એક વર્ષ માટે ઓનલાઈન સ્ટોર લગભગ મૃતઃપાય ચાલ્યો.૧૯૯૭ના વર્ષે જેફને મહત્વની ઉપલબ્ધિ મળી.કંપની આઈપીઓમાં લીસ્ટેડ બની.૨૦૦૦ સુધીમાં જેફે ગેરેજમાં જે ઓનલાઈન સ્ટોરનો પાયો નાંખ્યો હતો,એ એમેઝોન.કોમ વિશ્વીની સૌથી મોટી ઓનલાઈન રીટેલર કંપની હતી.

૧૯૭૬માં સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝ્નીક બંને એ ભેગાં મળીને એક ટ્રાયલ વર્ઝ્ન જેવું કમ્પ્યૂટર એસેમ્બલ કર્યું.સ્થાનિક લોકલ કંપનીનાં માલિક ઈર્વિનને બંને સ્ટીવ ની ધગશ પર વિશ્વાસ બેઠો અને તેણે એસેમ્બલ અંકે ૫૦૦ ડોલર પૂરા આપીને ખરીદ્યુ.એપલ કંપનીનો પાયો નંખાયો.પ્રાંરભિક સફળતાથી પોરસાઈને સ્ટીવ બંધુઓએ એવાં ૫૦ કમ્પ્યૂટર્સ એસેમ્બલ કરીને વેચ્યાં.આ માટે તેઓની કામચલાઉ ફેકટરી પણ હતી સ્ટીવ જોબ્સના ઘરની પાછળ આવેલું ભાડે લીધેલું જૂનુ ખખડધજ મોટર ગેરેજ!

કેલીફોર્નિયામાં ડિઝનીલેન્ડથી એકાદ ક્લાકના રસ્તે ડિઝની ચેનલનાં પ્રણેતા વોલ્ટ ડિઝનીનાં મામાનું ગામ.એ જગ્યાએ રોય અને વોલ્ટ ડિઝ્ની બંને ભાઈઓને કાર્ટૂન ફિલ્મ બનાવવાનો તરંગી વિચાર આવ્યો.એન્જિનીયર મામાના ઘરથી થોડે દૂર જૂનું ખખડધજ ગેરેજ કમ કારખાનું હતું.માલિક હતો લોકલ ન્યૂઝપેપર પ્રકાશક.ગેરેજ ભાડે લેવાયું અને પ્રથમ પ્રોજેક્ટ 'એલીસ ઈન વન્ડરલેન્ડ' મૂર્તિમંત થવા લાગ્યો,પેલું ગેરેજ ડિઝનીલેન્ડનું સાક્ષી થવાનું હતું.

માત્ર ૨૦-૨૨ વર્ષનાં બે મેકેનીકલ એન્જિયરો વિલીયમ હાર્લી અને આર્થર ડેવિડસન.બંનેમાંથી એકે'યનું ભણવામાં મન ના લાગે.ભણવાનાં કેટલાંક ક્લાસ બંક મારી બંને જણાં હાર્લીનાં દાદાએ બનાવેલાં મોટરસાયકલ ગેરેજમાં બેસે.ગપ્પાં ચાલે.એક દિવસ ગ્રાહકની નવીનક્કોર સાયકલમાં ભારે સ્ટ્રોક એન્જિન બેસાડવાનો તરંગી ખ્યાલ આવ્યો.નવરાં ને કામ મળ્યું.દાદાએ એક સેક્ન્ડ હેન્ડ બાઈક સ્પોન્સર કરી.દિનરાત ગેરેજમાં મહેનત અને રેસ્ટ ઈઝ હિસ્ટરી.૧૯૦૩માં હાર્લી-ડેવિડસનનું પહેલું મોડેલ આવ્યું.પેલું ગેરેજ મ્યૂઝીયમ બની ગયું છે ઉપર લખ્યું "હાર્લી-ડેવિડસન મોટર કંપની'!!

પૂર્ણ વિરામઃ

લેરી પેજ અને સર્ગે બ્રિન નામનાં બે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં ગ્રેજ્યુએટ્સ.રાતોરાત અમીરાત મેળવવાનાં સપનાં.ભણવામાં ધ્યાન નહી.લેકચરનો ટાઈમ એક પ્રોજેક્ટને ફાળવેલો.ચાલુ કોલેજે ત્રણ મિત્રો સુઝાન વ્જોસીકીનાં જૂનાં ગેરેજમાં એક કમ્પ્યૂટર પર પ્રોજેક્ટ કરે.એ પ્રોજેક્ટ વર્ષો પછી મારાં,તમારાં સૌના રોજીંદા ઈન્ટરનેટ વર્કનો મુખ્ય સોર્સ બની રહેવાનો હતો,યસ ધેટ પ્રોજેક્ટ વોઝ 'ગૂગલ'!

Share/Bookmark

આ અઠવાડિયે જોયેલી બે ફિલ્મો..

Comments
આલા રે આલા માણિયા આલા....-શૂટઆઉટ એટ વડાલા

જ્હોન અબ્રાહમ એઝ અન એકટર સુધરતો જાય છે.ડાયલોગ્સનો અતિરેક થયો છે,અનીલ 'જ્ક્કાસ'કપૂર ખખડી ગયેલો પોલીસ લાગે છે.ત્યાં સંજય દત્તની ખોટ વર્તાઈ.આ કંગના રાનાવત નામની નાયિકાને(અ-નાયિકા) જ્યારે પણ ફિલ્મોમાં જોઉં ત્યારે થાય છે કે બોલિવૂડમાં 'લાગવગ' અને 'કાસ્ટીંગ કાઉચ'જેવું કંઈક તો હશે જ.તેને 'એક થી ડાયન' જેવા રોલ સ્યૂટ થાય છે.તુષાર કપૂર 'ગોલમાલ' સિવાય ક્યાંય ચાલે તેમ નથી,એ ભોજપુરી ગેંગ્સ્ટર લાગે છે.સ્ટોરી-સ્ક્રિન પ્લે એવરેજ.સોંગ્સ બકવાસ.અને કાળા કપડાવાળી બબલી બદમાશ નહીં પણ 'બકવાસ'લાગે છે.

ઓવરઓલ શૂટઆઉટ એટ લોખંડવાલાની સિક્વલ તેની મૂળ ફિલ્મ જેવો જાદૂ પાથરી નહીં શકે.જો જ્હોન ના ફેન હો,સન્ની લિયોનને જોવી હોય(?) અને ટાઈમપાસ કરવો હોય તો જઈ આવો.-તમારા પૈસે. ;)




સુન રહા હૈ ના તું,રો રહા હૂ મૈં--આશિકી ૨

સાલ ૧૯૯૦માં આવેલી 'આશિકી' ફિલ્મે કેટલા લોકોની કરીયર બનાવી હતી?-ફિલ્મની 'લીડ પેર' રાહુલ રોય અને અનુ અગ્રવાલ.મ્યુઝિક ડીરેકટર નદીમ-શ્રવણ.ગાયક-કુમાર શાનુ અને અનુરાધા પૌંડવાલ .ફિલ્મ નવાં-સવાં એકટર્સ સાથે પણ બનાવી શકાય અને હીટ પણ કરી શકાય.આશિકી આજે પણ દિલમાં વસેલી છે.હું જ્યારે આશિકી-૨ જોવા ગયો ત્યારે આ જ પ્રશ્ન ઘૂમરાતો હતો કે શું આ ફિલ્મ "આશિકી" વાળો જાદૂ ફરીથી પાથરી શકશે?-વેલ,નવી "આશિકી"જૂની ફિલ્મ કરતા જરાય ઊણી ઊતરતી નથી.આદિત્ય રોય-કપૂર(સિધ્ધાર્થ રોય કપૂર નો ભાઈ,વિદ્યા બાલનનો દિયર) અને શ્રધ્ધા કપૂર(બેટી ઓફ આઉઉઉ શક્તિ કપૂર)ની કેમેસ્ટ્રી આ ફિલ્મનું હાર્દ છે,તો ફિલ્મનું મ્યુઝિક આ ફિલ્મનો 'સોલ' છે.રાહુલ જયકરની પ્રસિધ્ધી અને પડતીને ડિરેકટરે સ્ક્રિનવાઈઝ સરસ રીતે દર્શાવી છે.ઈન્ટરવલ પછી થોડીવાર ફિલ્મ થોડીક "બોરીંગ"બનતી જણાય છે.ફિલ્મનાં ગીતો હજી પણ મોંઢે ચડેલા છે ;)...ટૂંકમાં ફિલ્મ જોવા જેવી ખરી.

Share/Bookmark

આદમી કમજોર છે

Comments
ચારે કોર શોર છે,

આદમી કમજોર છે.

નસો ફૂલી છે,

હાંફ ચડી છે.

તો'ય એક જોર છે.-આદમી કમજોર છે.

ગફલતોએ ઘેરેલો,

આદતોથી ડરેલો,

એ મોતથી લડેલો.

જેની તૂટવા આવી જીવનડોર છે-આદમી કમજોર છે.

ખુદથી ઘૂંટાતો,

રોતો અને વલખાતોં,

ચાલ્યો ઘરભણી અથડાતો,

જેની જીંદગી કાંટાળો થોર છે-આદમી કમજોર છે.

Share/Bookmark

અથ એડવર્ટાઈઝ્મ!!

Comments

  • ક્યારેય એવું વિચાર્યુ છે કે સવારે ઉઠતાની સાથે જ અનેક અદમ્ય ચહેરાઓ માણસનો પીછો કરવાં લાગે છે,આ પ્રક્રિયા રાતે સૂતા સુધી ચાલે છે.માણસ બેસુધ છે,બેભાન છે.આ ચહેરાઓ લીટરલી 'ઈરીટેટ' કરે છે.વિજ્ઞાપનનાં જાણીતા-અજાણ્યાં અનેક ચહેરાઓ.
  • હું સવારે ઉઠીને બ્રશ લેવા માટે હાથ લંબાવુ ત્યાં ડર લાગે છે કે પેલી ન્યુઝ સર્વેયર આવીને પૂછશે તો કે"ક્યા આપકે ટૂથપેસ્ટ મેં નમક હૈ?" સવારની ચા પીતી વખતે નવાબી ફીલ થઈ આવે અને "વાહ તાજ!"બોલી જવાય.ભલેને વાઘ-બકરી કે બીજી સસ્તી બ્રાંડ પીતાં હો.બિસ્કીટના પેકેટ પર ટાઈગર જોઈને કૈંક એવું સ્મરણ થાય કે "ટાઈગર ખાને વાલે બચ્ચે કભી બિમાર નહીં હોતે". નાહતી વખતે વોર્મ સ્ટ્રીમનું હૂંફાળું પાણી યાદ આવે અને તેમાં તંગ કપડાં પહેરીને શાવર લેતાં આદમી ઔર ઔરત.હરેક કી જરૂરત હમામ સાબુ."લાઈફબોય હૈ જહાં,તંદુરસ્તી હૈ વહાં"- આ સ્લોગન યાદ આવતું જ હોય ત્યાં એક ડોકટરનો ચહેરો નજર સામે આવે,તે પરીચીત થાય.ત્યાં અચાનક યાદ આવે કે આ સાહેબે એક શિખામણ આપી છે "૯૯% ડોકટર ખુદ ડેટોલ કા ઈસ્તેમાલ કરતે હૈ!" નાહી-પરવારીને કપડાં ફંફોસવા ત્યાં ચોંકી જાઉં એક ભૈ'શાબ આવીને કહે"ક્યું ચોંક ગયે?? ટાઈડ હો તો અસલી વ્હાઈટ હો" અને કબાટ નીચેથી એક ગંદા કપડાંવાળું ડર્ટી છોકરું મારાં કપડાં લઈને નીકળે.એને થેંક્સ બોલું તો કહે"કુછ અચ્છા કરને સે દાગ લગે તો દાગ અચ્છે હૈ! આ પીંજણ પૂરી કરીને મોબાઈલ શોધવા નીકળું ત્યાં પાછળ પેલું સફેદ કૂતરું પણ આવી રહ્યું હોય એમ ભાસ થાય.વોટ અન આઈડીયા સરજી! કહીને જુનિયર બચ્ચન આઈડીયા આપવાની પેરવી કરે ત્યાં રણબીર કપૂર કહે "કમ દામમેં જ્યાદા બાત-ડોકોમો કે સાથ" અને હું ડોકોમોપ્રેમી બની જાઉં.                                                                                                                                                    
  • વાળ ઓળીને તેલ નાખતી વખતે વિરાટ હેર જેલની સિફારીશ કરી જાય,અને દિપીકા,અનુષ્કા,રાણી,મહારાણી બદામ-આંબલાનાં ગુણગાન ગાવાં લાગે.શાંતિ આંબલાની શાંતિ ડ્રેન્ડ્ર્ફ સાથે વેર-વિખેર થવાં લાગે તે પહેલાં જોન અબ્રાહમ ટપકી પડે અને કહે "ગાર્નિયર ફ્રુક્ટીસ.લોંગ એન્ડ સ્ટ્રોંગ" શેની જાહેરાત હતી એ સમજું તે પહેલા કીંગ ખાન ખીજાવાં લાગે કે"મર્દ હોતે હુએ લડકીયો વાલી ફેરનેસ ક્રિમ??" હું કહું અલ્યા ભૈ મેં એકેય ફેરનેસ ક્રિમ નથી વાપરી.તો કહે "નેરોલેક ઈમપ્રેશન્સ ફોર યોર હોમ" મારે નથી જોતી નેરોલેકની ઈમપ્રેશન."શાહરૂખ અભી બના નહીં,બનના બાકી હૈ" એવો બકવાસ કરીને તે જાય.બાઈક સ્ટાર્ટ કરું ત્યાં સલમાન પ્રગટે "સુઝુકી હયાતે યું હી નહીં ચલાતે" ભઈલા તારે જે હલવવું હોય તે મને મારું સ્પલેન્ડર સ્ટાર્ટ કરવા દે.ત્યાં આખી ટોળી ચિચિયારીઓ,બરાડા અને પડકારા કરતી આવે અને મને કહે "હમ મૈં હૈ હીરો."ગાડી લઈને જતી વખતે એક ભૈ'શાબ હેલ્મેટ પહેરીને આવે અને ઓવરટેક કરી જાય થોડે દૂર એક મેડમ તેને ખીજાતાં જોવા મળે "દેખ કે નહીં ચલા સકતે ક્યાં? ઈતના બડા રોડ હૈ.મેરા બચ્ચા નહીં દેખા?? "અને સીએટ બાઈક ટાયર્સની જાહેરાત યાદ આવે.
  • અમદાવાદની ગરમીમાં બપોરે ઠંડુ પીવાની ઈચ્છા થાય ત્યાં તો કેટરીના દેવી સાક્ષાત "રસીયા!! કહીને આમસૂત્રા જેવી સ્લાઈસ લંબાવે.અને ઈન્ડિયન ટીમ પેપ્સીની બોટલનાં કેરેટ લઈને આવે.ત્યાં ઉપરથી ઠેકડો મારીને અક્ષય આવે અને કહે "એનીથીંગ ફોર થમ્સ અપ". હું કનફ્યુઝ્ડ.ડર કે આગે હી જીત હોતી હૈ.અને બે મિત્રો ચૂપચાપ આવીને સ્પ્રાઈટ આપી જાય. હું પી લઉં અને બધાં જ અવાક. બંને મિત્રો કહે "સીધી બાત નો બકવાસ"-ક્લીયર હૈ!.પરચૂરણની અવેજીમાં મેન્ટોસ દીમાગની બત્તી જલાવી આપે.અને ક્યારેક એવું પણ થાય કે "મેલોડી ઈતની ચોકલેટી ક્યું હોતી હૈ?"
  • રાતે થાક્યાં-પાક્યાં ઘરે મમ્મીનાં હાથની રસોઈ ખાતી વખતે સ્વગત બોલી જવાય "સ્વાદ મૈં બેસ્ટ,મમ્મી ઔર એવરેસ્ટ"

પૂર્ણ વિરામઃ
ખુશ્બુ હૈ ગુજરાત કી!


Share/Bookmark

માઈકલ ઓગસ્ટીનનાં કેટલાંક હાઈકૂ

Comments

બેસ્ટસેલીંગ લેખક,

આજ-કાલ ટહેલી રહ્યા છે, ઉદ્યાનોમાં

ફૂલો પોપ્યુલર થશે??



વહેલી સવારે જાગીને,

ઈર્ષ્યાપૂર્વક તે જુએ છે.શાંતિથી

સૂતાં બાળકોને.



તૂટી ચૂક્યા બંને

હતભાગી ટાવર્સ છતાં આસ-પાસ મળે

ગીધડાંનું ટોળું.



સોફો આળસુ બેઠો

તેના બંને શૂઝને કહે છે

દોડી આવોને.

~માઈકલ ઓગસ્ટીન

(ભાવાનુવાદઃહિરેન જોશી)

Share/Bookmark

જોલી આયા રે...

Comments
સુભાષ કપૂરની જોલી LLB એક વ્યંગાત્મક ફિલ્મ છે.સટાયર છે.ફિલ્મનાં વિટ્ટી ડાયલોગ્સ માત્ર તાળીઓ અને સીટીઓ માટે લખવામાં આવ્યાં નથી.તાળીઓ મેળવવા માટે ડાયલોગબાજી થતી નથી.દરેક ડાયલોગ્સ પ્રાસંગિક છે,અર્થપૂર્ણ છે.ફિલ્મનું એક દ્ર્શ્ય છે કે જેમાં થાકેલ જોલી ત્યાગી અને રાતનાં સમયે ફૂટપાથ પાસે પેશાબ કરવા જાય છે ત્યાં એક આધેડ આજીજી સ્વરે કહે છે કે "સાહબ થોડે ઉધર ખડે હો જાયેંગે?? યહાં હમારા પરીવાર સોતા હૈ!!" બીએમડબ્લ્યૂ,મર્સિડીઝ્માં સવારી કરનારાં અને કહેવાતાં સોફિસ્ટીકેટેડ ભારતીય રીચ પીપલને આ દ્ર્શ્ય બેતુકુ લાગી શકે છે.પણ જોલી LLB એ 'ઓનેસ્ટ બ્લડી ઈન્ડિયન'ની સ્ટોરી છે.આ ફિલ્મ એક એવું સટાયર છે કે નક્કી દર્શકોને કરવાનું છે કે રોવું,હસવું કે ગુસ્સે થવું.હિન્દી ફિલ્મોમાં વ્યંગના નામે હાસ્યનો જે રીતે કચ્ચરઘાણ નીકળે છે તેમાં આવી ફિલ્મો એક સદનસીબી કહી શકાય.જોલી LLB આદર્શવાદી ભારતીય સમાજમાં ગરીબી-અમીરીનાં ભેદને અને અમીરોનાં "કાયદો મારાં ખીસ્સામાં" જેવા વલણ પર પ્રહાર કરે છે.

અર્શદ વારસી,બોમન ઈરાની અને સૌરભ શુકલા-ત્રણેયનો એક્ટીંગ એક્સપીરીયન્સ દેખાય છે.કોઈપણ પાત્ર એકબીજાને ઓવરટેક કરવાની તાકમાં રહેતું નથી.નાનકડા એવાં રોલમાં રામ ગોપાલ વર્મા (સંજય મિશ્રા)હસાવી જાય છે.ફિલ્મમાં હિરોઈનનાં ભાગે ગીત સિવાય કશું કામ આવ્યું નથી.

ઓવરઓલ જોલી LLB એ હિન્દી ફિલ્મોમાં હાસ્યના નામે ચાલતી છીછરી ફિલ્મો કરતાં સુંદર છે.ફિલ્મનાં નિર્દેશક સુભાષ કપૂર એ કુંદન શાહ,સાંઈ પરાંજપે અને રાજકુમાર હિરાનીની કેટેગરીને આગળ લઈ જવા સક્ષમ છે.

નોટઃસુભાષ કપૂરની બેએક વર્ષ પહેલા આવેલી "ફંસ ગયે રે ઓબામા!" પણ અદ્દભૂત સટાયર છે.જોવા જેવી ખરી.

પૂર્ણ વિરામઃ

તેજેન્દર રાજપાલ(બોમન ઈરાની):અગર ફૂટપાથ પર સોયેંગે તો મરને કા રીસ્ક તો હૈ.

જોલી ત્યાગી(અર્શદ વારસી):ફૂટપાથ ગડીયોં ચલાને કે લિયે ભી નહીં બને હૈ.

Share/Bookmark

માઈકલ ઓગસ્ટીનનાં કાવ્યોનો ભાવાનુવાદ-3

Comments
કવિઓને ઓગસ્ટીને પૂછેલાં કેટલાક પ્રશ્નો

(૧)શું સંવેદનશીલ જગ્યાઓ પર

અહિંસાની,પ્રેમની કવિતાઓ બંદોબસ્ત ગોઠવી શકે??

(૨)ડૂબતાં માણસને કોઈક

સારી કવિતા સંભળાવીને બચાવી શકાય??

(૩)કવિતાઓને,ગઝલોને,સોનેટ્સને,હાઈકૂ અને પેલા પદ્યકારોને

મોંઘવારી નડે??(કંટાળીને કવિઓ થઈ ગયા ના દાખલા આ ભાઈએ નથી સાંભળ્યા લાગતા:) )

(૪)અશ્વેત,કાળાં,અછૂત મજૂરોને

કવિતાઓ લખવાથી મજૂરી મળશે??

(૫)જે દેશમાં એક દિવાલે લોકોને અલગ કર્યા(ઓગસ્ટીન જર્મન છે,અને બર્લિનની દિવાલ વિશે વાત કરી)

દેશને અસભ્ય ગણ્યો,પ્રજાને તરછોડી.તે દેશનાં એક બળવાખોર કવિની વાત.માનશે કોઈ??

~માઈકલ ઓગસ્ટીન

ભાવાનુવાદઃહિરેન જો
શી

Share/Bookmark

માઈકલ ઓગસ્ટીનનાં વધુ કેટલાંક કાવ્યો(કાવ્યપ્રશ્નો)..

Comments

માઈકલ ઓગસ્ટીનનાં કાવ્યોનો ભાવાનુવાદ-૨

કવિઓને ઓગસ્ટીને પૂછેલાં કેટલાંક પ્રશ્નો

(૧)અગર

કાવ્યસંગ્રહને ત્રાજવે તોળવામાં આવે,

અને કાંટો વજન બતાવે ૩૦૦ ગ્રામ!

તો વજન કોનું

કાગળનું? કે કાવ્યોનું??

(૨)કેટલી લાગત આવે?

એક કવિતા બનાવવવામાં??

(૩)દર મહિને કેટલી કવિતાઓ જોઈએ?

એક પરીવારનાં નિભાવખર્ચ માટે??

(૪)શું સૈનિકો કવિતાઓ સાંભળીને યુધ્ધે ચડે?

શૌર્ય રસની કવિતાઓનાં રચયિતાઓ માત્ર પાનો જ ચડાવી શકે??

(૫)'નાસા'નાં અંતરીક્ષ કાર્યક્ર્મમાં કવિઓનું શું યોગદાન?

બે-ચાર કવિઓને સ્પેસમાં મોકલે ખબર પડશે??

~માઈકલ ઓગસ્ટીન

ભાવાનુવાદ-હિરેન જોશી


Share/Bookmark

માઈકલ ઓગસ્ટીનનાં બે કાવ્યો..

Comments

માઈકલ ઓગસ્ટીનનાં બે કાવ્યોનો એક માથાફરેલ ગુજરાતીએ કરેલો ભાવાનુવાદ.
આ વ્યંગીબખડજંતર ઓગ્સ્ટીનની માફી સાથે.

(૧)નવયુગલનાં નવા લીધેલા ફલેટમાંથી

વારંવાર આવી રહ્યો છે વાસણો ખખડવાનો અવાજ,

.

.

છૂટાછેડાના વકીલોને ભવિષ્યમાં ચાંદી છે.

(૨)નાવ ઊંધી વળી ગઈ ડેમોક્રેટીક એલાયન્સની(આપણે કોંગ્રેસ વાંચવું)

જીવતેજીવ પરસેવો પાડીને નાવ ઘડનાર,

.

.

સુથારની લાશનો પત્તો નથી.

~માઈકલ ઓગ્સ્ટીનની રચનાઓ-

ભાવાનુવાદ-હિરેન જોશી


Share/Bookmark

ઈશ્ક જરૂર કરના....

Comments

આજે વેલેન્ટાઈન ડે છે.સંત વેલેન્ટાઈનની યાદમાં ઉજવવામાં આવતો પ્રણય દિવસ.પૂર્વીય અને પશ્ચિમી સંસ્કૃતિને જોડતો પ્રણયવાદ બિલ્કુલ ભારતીય યૌવનને લાક્ષણિક છે.શું પ્રેમને માછલી પકડવાની જાળી સાથે સરખાવી શકાય??-ના જી અને 'કેક્વોક' જેટલો આસાન કહેવો પણ ઉતાવળ છે.પ્રેમ શું છે??-પ્રેમની તાકાતે મને,તમને અને આપણને ફેર-વિચાર માટે લાચાર કર્યા છે.શીરી-ફરહાદ,હીર-રાંઝા,લૈલા-મજનૂ દરેક પ્રેમ-કથાઓમાં સ્ત્રીનું નામ આદરપૂર્વક પહેલું શા માટે મૂકાય છે.સ્ત્રી માત્ર 'અંગ-ઉપભોગ' નથી.સ્ત્રી એ દીકરી છે,માતા છે અને બહેન પણ છે.પત્ની અને 'ગર્લ-ફ્રેન્ડ' પછી છે.સ્ત્રીને માન આપતો આપણો સમાજ એકાએક સ્ત્રીને 'વાસના-વિભોગ'શા માટે સ્વીકારવાં લાગ્યો??-સ્ત્રીના સૌંદર્ય વિશે અનેક પ્રાચીન શૃંગારીક રચનાઓ એ આપણને ક્યારેય મર્યાદા ચૂકવવાની શીખ આપી જ નથી.કાલિદાસના 'કુમારસંભવ' કે 'શંકુતલા' સમયે શું સ્ત્રીઓ નહોતી?-હતી જ પણ રેપ (કે બળાત્કારો) નહોતાં થયાં.પુરૂષપ્રધાન સમાજ બળાત્કારો ક્યારે શીખ્યો?? આપણે આવાં નહોતાં જ.



દિલ્હી ગેંગ રેપ વખતે તે છ-સાત નરાધમો વચ્ચે એક પ્રેમી-જોડું પણ હતું.તેમની આંખોમાં પણ વેલેન્ટાઈન સપનાંઓ હતાં.બંને લગ્ન કરવાનાં હતાં.તે પિડીત છોકરીના મૃત્યુ પછી ન્યુઝ ચેનલ દ્વારા વિવેક નામનાં તેના પ્રેમીનો ઈન્ટરવ્યૂ લેવાયેલો.વિવેકનાં ચહેરાના ભાવો આપણા 'સ્ત્રી-સન્માન' અને 'સ્ત્રી-સ્વાતંત્ર્ય'ના બણગાઓ હવામાં ઓગાળી દે છે.તે દરેક વાત સિલસિલેવાર કહે છે.તેને કોઈ સામે ફરીયાદ નથી,પોતે ગિલ્ટી ફિલ કરે છે,રડે છે.લાચાર હતો.વિવેક કોઈ હિન્દી ફિલ્મનો હીરો હોત તો કદાચ પેલા નરાધમોને મારત,એકશન-પેકડ સ્ટંટ કરત.પણ તે એક સામાન્ય ભારતીય છે.તેની વિગતવાર વાતો આપણી સામાજિક પોલ ખોલતી જાય છે.પોલીસ,પ્રશાસન ઉંઘતું ઝડપાય છે.ગુનેગાર માત્ર પોલીસ નથી.કહેવાતો જાગૃત સમાજ છે.એક કલાક સુધી રોડ તેઓ મૃતઃપાય અર્ધ નગ્ન હાલતમાં રહે છે.અનેક મોટરો,રીક્ષાઓ,બસો પસાર થાય છે.કોઈને ફૂરસત નથી.કોઈ કાચ ખોલીને જોવાની તસ્દી લેતું નથી.શા માટે લે?? આ છે આપણો સમાજ જે પ્રેમ કરતા નથી શીખ્યો.


પૂર્ણ વિરામઃ

ગર તુજે કારી-કારી(ચરીત્રહીન) કહકર મારે,

મર જાના,ઈશ્ક જરૂર કરના.


શરાફત કે શો-કેસમેં બુરખા લગાકર ના બૈઠના, 

મર જાના,ઈશ્ક જરૂર કરના.

 

પ્યાસી ખ્વાહીશોં કે બિયાંબા(રણ)મેં,

થારે(થોર) જૈસી ના રહના,ઈશ્ક જરૂર કરના.


ગર કિસી કી યાદ હૌલે સે,

મનમેં પડી હો,મુસ્કુરા ઉઠના,ઈશ્ક જરૂર કરના.


વો લોગ ક્યા કરેંગે?

સિર્ફ બાતોંની પથ્થર મારેંગે,જીવન ફલ તું ભોગના

ઈશ્ક જરૂર કરના.


તેરે ઈશ્ક કો ગુનાહ કહા જાયેગા,

તો ક્યા હુઆ?

સહ લેના,ઈશ્ક જરૂર કરના.


~અતિયા દાઉદ(પાકિસ્તાની કવિયત્રી)

Share/Bookmark

તુમ તો ઠહેરે પરદેશી...

Comments

ગૈર-ફિલ્મી ગીતોને (કે જેને આપણે આલ્બમ સોંગ્સ કહીએ છીએ)સર્વાધિક લોકપ્રિયતા ૮૦ના દશકામાં મળી.ગઝલો અને પાશ્ચાત્ય સંગીતની અસરવાળાં પોપ ગીતો તે જમાનામાં રાતો-રાત ઉપલબ્ધિને આંબ્યા હતાં.૯૦નો દાયકો આવતાં સુધીમાં સૂફી સંગીતની અસરવાળાં ગીતો અને કવ્વાલીઓનું ભારતીય પોપ સંગીતમાં મિક્સીંગ થઈ ચૂક્યું હતું.આજે ભલે પ્રાઈવેટ આલ્બમની ક્વોલિટી અને ક્વોન્ટીટી ઘટ્યાં હોય પણ ૧૯૮૦-૯૦ના દાયકાઓમાં આવાં આલ્બમ્સ ફિલ્મી સંગીતની 'પેરેલલ' હતાં,ફિલ્મી ગીતો સાથે કદમ મિલાવતાં હતાં.


ગૈર-ફિલ્મી ગીતોને લોકપ્રિય કરવામાં એક નાગપુરી કવ્વાલનો મહત્વપૂર્ણ ફાળો છે-એ છે અલ્તાફ રાજા.૯૦ના દાયકામાં અલ્તાફ રાજાને અપાર સફળતા મળી.તેમણે ગાયેલું 'તુમ તો ઠહેરે પરદેશી..'ઘણાં દિવસો સુધી ઓફિસીયલ 'ચાર્ટ બુસ્ટર' ટોપ પર રહેલું! (અને હાલ પણ કેટલાંક લારી-ગલ્લે વાગતું સાંભળી પગ થીરકવા માંડે) આ એક ગીતની સફળતાએ અનેક જાણ્યા-અજાણ્યાં ગાયકો અને સંગીતકારો માટે ભારતીય સંગીત માર્કેટના દરવાજાં ખોલી નાંખ્યા,જાણે ભારતીય સંગીતનું પણ ઉદારીકરણ થઈ રહ્યુ હતું.ઠીક-ઠાક અવાજ ધરાવતા અને અંતરા(ગીતની કડીઓ) વચ્ચે શાયરીઓની ઠોકમઠોક બોલાવતા અલ્તાફ રાજાએ સાબિત કરી આપ્યું કે પોપ્યુલારીટી મોટાં નામની મોહતાજ નથી."તુમ તો ઠહેરે પરદેશી..."આલ્બમની સફળતા કોઈપણ ફિલ્મી સંગીતની બરોબરી કરી હતી.અલ્તાફ રાજા રાતોરાત બેસ્ટ સેલેબલ બની ગયા હતાં.


અલ્તાફ રાજા અને "તુમ તો ઠહેરે..."બંને રાતોરાત સ્ટાર નહોતા બન્યાં.મૂળ વાત એમ કે અલ્તાફ રાજાના પિતા દાદ રફી રાજા નાગપુરમાં કવ્વાલીકાર હતાં.મહેફિલોમાં અને મોટાં શેઠોની મિજબાનીઓમાં તેમને કવ્વાલીઓ ગાવાં ઈન્વીટેશન મળે.ઉમરાવો હરખાઈને જે બક્ષિસ આપે તે જ તેમની 'પ્રોફેશનલ ઈન્કમ'!પૈસા ના મળે તે દીવસે રોટ્લાં-પાણીના પણ વાંધા હોય.આવી ગરીબીમાં અલ્તાફમિયાંનો જન્મ.સાલ હતું ૧૯૬૭નું.નાનપણમાં અલ્તાફે વિથ ફેમીલી અનેક સ્થળોએ પરીભ્રમણ કર્યું અલબત્ત 'રોટી' માટે જ! અલ્તાફને શેર-શાયરીઓ અને ક્વ્વ્લીઓ જન્મતાં સાથે જ લોહીમાં હોય તે સ્વાભાવિક છે.છતાં પણ ફોર્માલિટી પૂરતી અને અવાજને વધુ પાણીદાર બનાવવાની ટ્રેનીંગ લીધી.લખનૌ,કાનપુર,બિહાર,એમ.પી અનેક સ્થળોએ સતત રઝળપાટ કર્યો.


"તુમ તો ઠહેરે પરદેશી..."ગાવાની પ્રેરણા વિશે અલ્તાફે એક ઈન્ટરવ્યૂમાં કહેલું "બચપનમેં લતા મંગેશકર ઔર મન્ના-ડે કી આવાજમેં 'રાત ઔર દિન"કા ગાના "દિલ કી ગીરહ ખોલ દો..." સુનને કે બાદ ઈક મુખડા મેરે જહનમેં થા વો "તુમ તો ઠહેરે પરદેશી..." જૈસા થા.લેકીન તબમેં બહોત છોટા થા.લેકીન ઉસ ગાનેકોં ઔર મન્ના-દા ઔર લતા દી કી આવાજને મુઝે બહોત ઈન્સ્પાયર કીયા ઔર મૈંને એક પ્રાઈવેટ આલ્બમ કે બારેમેં સોચના શરૂ કીયા"


૧૯૯૬માં વીનસે અલ્તાફ રાજાનું આલ્બમ "તુમ તો ઠહેરે પરેદેશી..."પ્રોડ્યુસ કર્યું અને રેકોર્ડબ્રેક કમાણી કરી.કેટ્લાંક "તુમ તો.."ને રાજાનું પહેલું આલ્બમ માને છે પણ ૧૯૯૯૩માં તેમનું એક ડિવોશનલ આલ્બમ આવેલું "સજદા રબકા કર લો.." અલ્તાફ રાજાના ગીતોની સફળતામાં જેટલો ફાળો ગીત-સંગીતનો હોય એટલો જ તેમની યુનિક અવાજ અને વચ્ચે બોલાતી શાયરીઓનો હોય છે.અલ્તાફ ભાઈના શબ્દોમાં કહીએ તો "મૈં ૧૯૮૯સે તુમ તો ઠહેરે ગાતાં થા સાથમેં રૂબાઈયાં,નઝમેં અપની લિખી હુઈ થી વો યાદ આતી ઐસે ગાને કે અંતરો કે સાથ તાલ-મિલાકર ગાતા થા,બોલતા થા...ઐસા સ્ટાઈલ બન જાયેગા ઐસા સોચા ના થા". અને સાચ્ચે જ આ એક સ્ટાઈલ હતી,,ના ભૂતો ના ભવિષ્યતી.


૧૯૯૬ સુધી અલ્તાફ રાજા "તુમ તો ઠહેરે.." ગાઈ-ગાઈને કંટાળી ગયા હતાં.એવામાં વિનસ તરફથી એક નવા આલ્બમની ઓફર મળી.મોહ્મ્મ્દ શફી નિયાઝી કે જેઓ નવાં આલ્બમનું સંગીત આપવાનાં હતાં તેમણે અલ્તાફ રાજાને પૂછ્યુ કે "યર્લી ડેઝ"માં તેઓ ક્યાં-ક્યાં ગીતો ગાતાં?? અલ્તાફે "દોનોં હી મુહ્બ્બત કે ઝ્ઝ્બાંત મેં જલતે","મેરી યાદ આયી જુદાઈ કે બાદ" અને "પંગા લે લિયા" જેવા ગીતો ગણાવ્યાં.નિયાઝી સાહેબે "પંગા લે લિયા"ને હાઈલાઈટ કરવાનું સૂચવ્યું અને એવી રીતે તૈયાર થયું બીજુ આલ્બમ "પંગા લે લિયા.." પબ્લિક ડિંમાન્ડ્ને ધ્યાનમાં રાખીને

"તુમ તો ઠહેરે..."ને પણ સમાવવામાં આવ્યું.


અલ્તાફ રાજા ભલે "તુમ તો ઠહેરે પરદેશી.." ગાઈ-ગાઈને થાકી ગયાં હોય પરંતુ તેમનાં સંગીત અને યુનિક અવાજના ચાહકો(કંઈક અંશે આ લખનાર પણ)તેમનાં ગીતોને ભૂલ્યાં નથી.દરેક પેઢીને,દરેક શ્રોતાને પોતાનો એક અવાજ હોય છે.


પૂર્ણવિરામઃ

એક અલ્તાફ રાજા બ્રાંડ શાયરીઃ

ખોયે-ખોયે રહતે હો ક્યું? ધ્યાન કિસકા હૈ??

જરા બતાઓ તો યે ઈમ્તિહાન કિસકા હૈ??

હમેં ચાહે ભુલા દો મગર યે યાદ હી હોગા,

નયી સડક પેં વો પુરાના મકાન કિસકા હૈ.


Share/Bookmark

શહેરમાં સાંજ....

Comments

 

 


 

 આ શહેરમાં સાંજ થતી નથી,  

 કોઈએ જોયું નથી સંધ્યાનું સૌંન્દર્ય, 

 પાછા ફરતા બળદગાડાંઓ,ઝાલર ટાણું,  

  હા,વોલપેપરમાં કોઈકવાર,

  જોયું છે આ બધું,

  રસ્તે નીકળે છે,

  ઓફિસર્સ,મેનેજર,મજૂરો,ભિખારીઓ અને

  પેલો રઘવાયો માણસ,

  રોબોટ જેવી યંત્રવત સ્થિતીએ,

  પૂરો દિવસ તણાવો,ચિંતાઓ,

  છતાંયે સંધ્યાનો ઉન્માદ ના માણે!

  જેમનાં સપનાઓ સિમેન્ટમાં જન્મે છે,

  પલે છે,બઢે છે,

  અને મૃત્યુ પામે છે.

  તેમને 'ગોધૂલી'ની શી સમજ?

  હા, આ શહેરમાં સાંજ થતી નથી,

  કોઈએ જોયું નથી સંધ્યાનું સૌંદર્ય.

  ~હિરેન જોશી


Share/Bookmark

હોસ્ટેલનો સામાન પેક કરતી વેળા...

Comments

ATM ની જૂની કેટલીક રસીદ,

મ્યુઝીયમની ટિકીટ સાથે પાંચ-પાંચ રૂપિયાની બે બસ ટિકીટ,

એક કોફી બિલ-એક હોટ બીજી કોલ્ડ,

બિલ કોફીનું છે પણ તે રાતે આઈસક્રિમ પણ ખાધી હતી-એક કોન બીજી સ્ટીક!



ટ્રાફિક પોલીસે ફાડેલી કાપલી લખ્યું તું-૨૫૦ રૂપિયા

એ જ દિવસની બે મૂવિ ટિકીટ્સ-સ્કિન નંબર ૪.

ચોકલેટ્સ ના ખાલી કાગળિયા સાથે મોજાની ગંધ!

ડિનર"પોસ્ટપોન્ડ" સાથે તેણીએ લખેલી એક નોંધ.

 

એક બ્લૂઈશ ગિફ્ટ પેકિંગનો કાગળ-ઈટાલિક્સમાં લખેલું મારૂ નામ સાથે...વિથ લવ

કાપલી પર પ્રેઝંટ્ મૂમેંટ-૯ પી એમ.

હોસ્ટેલ રૂમ એલોટ્મેન્ટની પર્ચી,

બે અડધા ભરેલા ફોમ્સ,ભૂલ ને લીધે અડધેથી છોડ્યાં હતાં,

'રણજીત'ના ગંજી પર બે ફોન નંબર-ખબર નથી કોના હતાં?

 

~હિરેન જોશી


Share/Bookmark

૧૯૮૯થી૨૦૧૨--શું બદલ્યું ભારતમાં અને સચિનમાં??

Comments

સચિન તેંડુલકરે ૧૯૮૯માં પાકિસ્તાન સામેની શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટજીવનની શરૂઆત કરી હતી...આ ૨૩ વર્ષના સમયગાળા(૧૯૮૯-૨૦૧૨) દરમિયાન દેશમાં શું-શું બદલાયું??


તે સમયે દેશમાં ખાવા-પીવા પૂરતી એક જ ચેનલ હતી-દૂરદર્શન


ઘરેલુ એરલાઈન્સ તરીકે ઈન્ડિયન એરલાઈન્સ એક જ હતી.


સચિન ના પદાર્પણ પહેલાનાં થોડાક મહિનાઓ પહેલા પેપ્સીએ દેશમાં પ્રવેશ કર્યો હતો.કોકા કોલાની રી-એન્ટ્રી ૧૯૯૩માં થઈ હતી.૧૯૮૯ પહેલા ભારતીય બજારોમાં થમ્સ અપ,સિટ્રા,લિમ્કા,સોસીયો જેવી પ્રાદેશિક બ્રાન્ડ્સ જામેલી હતી.


સચિનના ક્રિકેટ જગતમાં આગમન સમયે ૧ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ૧૭ રૂપિયા અને ૫૦ પૈસા હતું.


સચિનના ટીમ ઈન્ડિયામાં શામેલ થયાના થોડાક દિવસોમાં રાજીવ ગાંધીએ પ્રધાનમંત્રી પદની ખુરશી છોડવી પડી હતી અને વી.પી સિંહ નવા વડાપ્રધાન બન્યા હતાં.તે સમયે કોંગ્રેસ અને જનતા દળ બે મુખ્ય પાર્ટી હતી.બીજેપી ત્રીજે નંબરે હતી.


૧૯૮૯ની સાલની સુપરહીટ ફિલ્મ "મૈંને પ્યાર કીયા"થી એક ફ્રેશ સુપરસ્ટારનો જન્મ થયો હતો-સલમાન ખાન.૧૯૮૯ દાયકાથી બોલીવૂડને નવા રોમેન્ટીક એકટ્રો અને તેમની ફ્રેશ ફિલ્મો મળવાં લાગી.


તે સમયે ભારતમાં શોપર્સ સ્ટોપ,મેક ડોનાલ્ડ્ઝ,પીઝા હટ કે નો જન્મ પણ નહોતો થયો.


ત્યારે DVD નો આવિષ્કાર નહોતો થયો(બ્લુ રે ડિસ્ક તો સપનું હતી) મળવી દુર્લભ હતી. ઓડિયો કેસેટ્સ અને ટેપની ડિમાન્ડ હતી.


૧ એપ્રિલ ૧૯૮૯નાં રોજ ભારતીય બજારોમાં પેટ્રોલનો ભાવ સાડા આઠ રૂપિયે લિટર,ડિઝલ સાડા ત્રણ રૂપિયે લિટર અને રાંધણ ગેસ ૫૭ રૂપિયા પ્રતિ સિલેંડર હતાં.


૨૩ વર્ષનાં સમયગાળા દરમિયાન ભારતમાં ઘણાંબધા બદલાવો આવ્યાં--અને સચિન તમારામાં???




Share/Bookmark

હે ગણેશ!

Comments


હે ગણેશ!



હે ગણેશ!


તમે ખૂબ જમ્યાં,


ખાઈ-પીને રાજ કર્યુ,


તમારું પેટ આ વાતનો પૂરાવો છે.


પણ આજના નેતાઓ જે જમે છે


એની તુલનામાં તો તમે કાંઈ નથી,


રોડ,મેદાનો,મકાનો,કોલસાઓ,,આહા કેટલું બધું જમ્યાં!


હે ગણેશ!


આ છે ચમત્કારીઓ,


ખૂબ જમીને પણ બને છે


ભીખારીઓ!


તેમનાં જમણવારનું બિલ જાણવા


જવું પડે વિદેશ!


હે ગણેશ!


કેવી છે આ વિડંબણા


તમે ઉંદરને વાહન બનાવ્યો


તેમણે અનુસરણ કરીને


જનતાને ઉંદર બનાવી દીધી.


હે ગણેશ!


હું જાણું છું કે તમારી તુલના ઠીક નથી


આ ધૂતારાઓ સાથે


પણ બતાવ્યાં વિના છૂટકો પણ નથી.


હે ગણેશ!


તમને ચાહે છે દિન,દુઃખી,ભૂખ્યાં લાચાર,


થોડાંક મારી જેવા કવિ,કલાકાર.


પણ ધૂતારાને ચાહે


આખું કાળાબજાર.


આવ્યાં છો તો સાથે લઈ જાઓ આ દેશ!


હે ગણેશ!


Share/Bookmark

શું નરેન્દ્ર મોદી ગુનેગાર છે??

Comments


"ભારત જેવા શાંતિપૂર્ણ દેશમાં કોઈપણ સાંપ્રદાયિક ઘટના નિશ્ચિતપણે કોઈ વ્યક્તિકેન્દ્રી ના રહીને સમ્રગ દેશ માટે એક કલંક સમાન છે".-આ શબ્દો થોડાંક સમય પહેલા પ્રધાનમંત્રી મનમોહન સિંહ આસામની સાંપ્રદાયિક ઘટના પ્રભાવિત વિસ્તારની મુલાકાતે ગયા ત્યારે તેમણે ઉચ્ચારેલાં છે.હકીકત એ છે કે ભારતમાં અત્યાર સુધી બનેલી દરેક આતંકવાદી ઘટનાઓ,સાંપ્રદાયિક હિંસાઓ,જાતિ અને ભાષાઓ આધારિત ઝઘડાઓને છેલ્લી પાયરીના ગંદા રાજકારણની ભેટ ચઢી ગયા છે.જે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.ધર્મનિરપેક્ષતાની આડમાં પોતાને સેક્યુલર અને સમાજવાદી બતાવતા તથાકથિત બુદ્ધિજીવીયો અને રાજનેતાઓએ મોંફાટ નિવેદનો અને વાક્યપટુતા વડે દેશની એકતા અને અંખડિતતાને હંમેશા નુક્શાન જ પહોંચાડ્યુ છે.અવસરવાદી રાજકારણના જાણભેદુઓ વેચાઉ મીડિયાનો સહારો લઈને સુપ્રિમ ન્યાયલય કે કાયદાકિય ફેંસલાઓને પણ વોટબેંકની રાજનિતી માટે જેમ ફાવે તેમ ઉપયોગ કરે છે.જેથી દેશમાં એક ભ્રમની સ્થિતી ઊભી થઈ છે.કેટલાંક ઓવર-સ્માર્ટ રાજનેતાઓ પોતાને સર્વોચ્ચ ન્યાયાધીશ માનીને ત્વરિત પ્રતિક્રિયાઅને ફેંસલો આપી દે છે.કોંગ્રેસ ના અગ્રણી નેતા જયંતિ નટરાજનનું એક સ્ટેટમેન્ટ જેમાં ગોધરાકાંડ પર ન્યાયાલયનાં ફેંસલાને વાંચવાની તસ્દી પણ લીધા વિના પ્રતિક્રિયા આપી કે"ગોધરા કાંડ મુદ્દે નરેન્દ્ર મોદી દોષી છે તેમને ફાંસી આત્તપો".કોંગ્રેસની આખી જમાત આવા બેફામ નિવેદનો માટે કુખ્યાત છે,જાણભેદુઓ છે.એટલે જ કદાચ લઘુમતિઓમાં તેઓ પ્રખ્યાત છે.આવા વાક્પટુઓના વોટબેંકલક્ષી નિવેદનોને લીધે દેશમાં સૌહાર્દ અને સદભાવની ભાવના ઓછી થતી જાય છે.૧૯૮૪માં ઈન્દિરા ગાંધીના મૃત્યુ પછીના સમયગાળામાં ફાટી નીકળેલી હિંસાને યોગ્ય ઠેરવવા માટે એક કોંગ્રેસી નેતાએ એવું નિવેદન આપ્યું હતું કે "પેડ પડતા હૈ તો ધરતી તો હિલતી હૈ" આ જ કોંગ્રેસના એક બીજા અગ્રણી નેતાએ આસામ(કોકરાઝાર)ના હિંસાચારને "અસ્થાયી" ગણ્યો છે!

ભારત એક લોકતાંત્રિક દેશ છે.અતઃ બંધારણે દરેક નાગરિકને સ્વતંત્ર રીતે પોતાના લીડર ચૂંટવાની સ્વાધિનતા આપી છે.આ મૂળભૂત સ્વતંત્રતા પર ખતરો ક્યારે મંડરાઈ છે??-જ્યારે લોકતંત્રનો ચોથો સ્તંભ ગણાતું મિડીયા,ભ્રષ્ટ નેતાઓની સાથે સાંઠગાંઠ કરીને કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરે.નરેન્દ્ર મોદી સાથે કંઈક આવું જ બની રહ્યું છે.આ સમ્રગ પ્રકરણનું પ્રશ્નચિન્હ એ છે કે નરેન્દ્ર મોદીનો ગુનો શું છે??

૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ ના દિવસે અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકોમાંથી ૫૯ કારસેવકોને જીવતા સળગાવી દેવાના દુષ્કુત્યનાં પ્રત્યાઘાત રૂપે ફાટી નીકળેલી તીખી સાંપ્રદાયિક હિંસા એ કંઈ ભારતની પહેલું સાંપ્રદાયિક તોફાન નહોતું.તેની પહેલા પણ ૧૯૪૭થી લઈને અત્યાર સુધી અનેક સાંપ્રદાયિક હુલ્લડો થયા છે.૧૯૬૧માં મધ્ય પ્રદેશના જબલપુરમાં થયેલા તોફાનો હોય કે ૧૯૬૯માં ગુજરાતના કોમી તોફાનો,૧૯૮૪ શીખ વિરોધી રમખાણો હોય કે ૧૯૮૭નાં મેરઠના કોમી તોફાનો,૧૯૮૯ ભાગલપુર,૧૯૯૨-૯૩ બાબરી ધ્વંસ ના પ્રતિભાવ રૂપે મુંબઈના ફાટી નીકળેલા તોફાનો,૨૦૦૮માં કંધમાલની હિંસા હોય કે ચાલુ વર્ષે આસામનાં કોકરાઝારમાં બનેલી ઘટના જેમા અત્યાર સુધી ત્રણ લાખ લોકો બેઘર બન્યાં છે.દરેક સાંપ્રદાયિક તોફાનો પછીના સમયગાળામાં એકતા અને અંખડિતતા પર રાજકારણ હાવી થઈ જાય છે.વોટ્બેંક માટે લઘુમતિઓને સહાનુભૂતિ દર્શાવીને છાવરવા માટેની હોડ લાગે છે.મિડીયા નિષ્પ્ક્ષ રીપોર્ટીંગ કરવાનું ભૂલી જઈને વોટબેંકના જાણભેદૂઓના ઈશારે નાચવા લાગે છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનવાના અભિયાન સામે દરેક કહેવાતા સેક્યુલર પક્ષે રાજનિતીક પંડિતોની મદદથી એન્ટી નરેન્દ્ર મોદી વાતાવરણ ઊભું કર્યુ છે.મોદીને જે વ્યક્તિ મળે તે સાંપ્રદાયિક જ કહેવાય.મોદીની છાપ ભગવાં હિન્દુત્વના પ્રચારક તરીકે જોર-શોરથી કરવામાં આવી રહી છે.મોદીની પૂર્વભૂમિકા સંઘ પ્રચારકની છે જે બાબત સમ્રગ ઝૂંબેશમાં આગમાં ઘી ઉમેરવાનું કાર્ય કરે છે.ટૂંકમાં મોદીને હિન્દુત્વ ના હિમાયતી અને મુસ્લિમમોના કટ્ટર વિરોધી છે તેવું બ્રાંન્ડિગ કરવામાં આવી રહ્યું છે.જે ભારતીય રાજકારણમાં એક અક્ષમ્ય અપરાધ છે,ઈતિહાસ માફ નહી કરે એવાં લોકોને જે મોદી વિરોધી દુષ્પ્રચાર કરવાનું કાર્ય કરી રહ્યાં છે. અન્ના હજારેથી લઈને બાબા રામદેવ જે કોઈએ પણ મોદીની પ્રશંસા કરી તેને બુદ્ધિજીવીઓ અને સેક્યુલરોની ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.એક બાજુ શીલા દિક્ષીત અને શરદ પવારને મોદીની પ્રશંસા માટે ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યા તો બીજી બાજું વસ્તાનવી અને સમાજવાદી ધારાસભ્ય શાહિદ સીદ્દીકીને પોતપોતાના પદેથી હાથ ધોવા પડ્યા હતાં.ભારતીય રાજકારણમાં મોદી સાથે અછૂત જેવો વ્યવહાર શા માટે?? દેશની સર્વોચ્ચ ન્યાયાલયે પણ ગોધરાકાંડ બદલ તેમને દોષી નથી ગણ્યા કે નથી માફી માંગવાની ભલામણ કરી.તો સેક્યુલર ચોખલીયાઓ અને મીડિયાના પ્રતિનીધીઓ બંધારણની કઈ કલમને આધારે મોદીને માફી માંગવાની માંગ કરી રહ્યાં છે?? ગોધરા કાંડ અને નરોડા પાટીયાનાં રમખાણોને થોડાંજ દિવસોમાં નિયંત્રણમાં લેનાર અને ૨૦૦૨ પછીના સમયમાં એક પણ હુલ્લ્ડ ન થવા દેવામાં સફળ થનાર નરેન્દ્ર મોદી આજે પણ ભારતીય રાજનીતિમાં અછૂત છે.


Share/Bookmark

યે પબ્લિક હૈ સબ જાનતી હૈ!

Comments
ટી.વી પર રાજેશ ખન્નાની એક મૂવિનું સોન્ગ"યે પબ્લિક હૈ સબ જાનતી હૈ" આવી રહ્યું છે. જાહેરાત દરમિયાન રીમોટ દેવ દ્વારા ચેનલને ફેરવવામાં આવે છે.અવળચંડી ન્યૂઝ ચેનલ પર પગ સ્થિર(આંગળીઓ) થાય છે.આ ન્યૂઝ ચેનલ જાણે અન્ના હજારેના આંદોલનને કોઈપણ ભોગે નિષ્ફળ બનાવવું તેવા સંકલ્પ સાથે મેદાને પડી હોય તેવું લાગે છે.કોઈ ઘેટાં જેવો,ચશ્મા પહેરેલો,કાળો કોટ લટકાડેલો એન્કર સતત બફાટ કરે છે.તેના બફાટનો સાર એ છે કે અન્ના હજારે ઉપર હવે લોકોને વિશ્વાસ નથી,લોકો અન્ના અને તેની મંડળીથી દૂર ભાગી રહ્યા છે...વગેરે-વગેરે.દરેક ન્યૂઝ ચેનલો જે કોર્પોરેટ હાઉસીઝ દ્વારા સંચાલિત છે તેમાં ક્યા અન્ના કા જાદૂ ઢલ ગયા??,આજ કેજરીવાલ કા રાજ ખૂલેગા,કહાં ગયા જનસૈલાબ?? એવા ભળતા નામોથી ન્યૂઝ બનાવવાની હોડ લાગી છે.અન્ના ઉપર અને તેના સાથીઓ ઉપર આક્ષેપો થાય છે.નેગેટીવ રીપોર્ટીંગ થાય છે.ખિલ્લી ઉડાવાય છે.આ ન્યૂઝ ચેનલો દ્વારા લોકોને અન્નાના આંદોલનમાં ના શામેલ થવાની આડકતરી અપીલો પણ કરાય છે.
ખુર્શીદ,દિગ્વિજ્ય સિંહ,નારાયણ સામીનાં એઝ એક્સ્પેક્ટેડ સ્ટેટ્મેન્ટના ફૂટેજ સવાર-સાંજ બતાવાય છે.
દેખ તેરે ભારત કી હાલત ક્યા હો ગઈ ગાંધી??


ટીમ અન્નાનું આંદોલન ચાલતું રહે છે.ત્રણ દિવસ એટલે કે ૨૫-૨૬ અને ૨૭ ઓગસ્ટ રાહ જોયા પછી ચોથે દિવસે ૨૮ ઓગસ્ટની સવારે ૭૫ વર્ષનો વૃદ્ધ ગાંધીવાદી નાછૂટકે ઉપવાસનું શસ્ત્ર ઉપાડવાં મજબૂર થઈ જાય છે. અન્નાની આંદોલનને અનેક દ્ર્ષ્ટિથી જોવાની કોશિશો ચાલું જ છે.સામે પક્ષે ખાનગી ટી.વી ચેનલો અને અખબારોમાં બેફામ દુષ્પ્રચાર ચાલું છે.

જન લોકપાલ આંદોલન માત્ર લોકપાલ માટેનું આંદોલન મટીને અન્ના સહયોગી વિરુધ્ધ અન્ના વિરોધીઓ સુધી સીમિત થઈ ગયું છે.લોકપાલ અભેરાઈ પર ચડી ગયું છે.આંદોલનની પવિત્રતા ખોવાઈ ગયી છે,બયાનબાજીઓ થઈ રહી છે.એક બાજુ ટીમ અન્ના કોંગ્રેસના ૧૫ મંત્રીઓ પાસે સ્વીચબેંકમાં કેટલા રૂપિયા પડ્યા છે તેનો ખુલાસો કરે છે તો બીજી બાજુ કોંગ્રેસ આ આંદોલનને ૨૦૧૪ની ચૂંટણી માટેનો એક સ્ટંટ બતાવી રહી છે.

કેજરીવાલ ઓન ફાયરઃબોલે તો જાણે આગઝરે!


ટીમ અન્નાનો વાણી-વિલાસ પણ સમ્રગ આંદોલનની ચર્ચાસ્પદ બાબત છે.એવું બની શકે કે અરવિંદ કેજરીવાલ સહિતના સભ્યોએ ઉઠાવેલાં મુદ્દા સાચાં હોય પરંતુ કડવું સત્ય કે નગ્ન સત્ય બોલતી વખતે તેના ફળ ભોગવવાની પણ તૈયારીઓ રાખવી જોઈએ.ટીમ અન્નાના એક સભ્ય કંઈક બોલે છે તો બીજો કંઈક અલગ નિવેદન આપી દે છે,સ્વાભાવિક છે કે આ લોકોનું વ્યાપારિક સંગઠન નથી કે બધાનો વિચાર એક જ હોય છે.પરંતુ વિરોધીઓને મોકળું મેદાન મળી જાય છે.

લોકો બધુ જાણે છે છતાંય ચૂપ છે-જનતાની આ ચૂપકિદીને બાજીગર સરકાર વિજય માની રહી છે,પરંતુ આ તો યુદ્ધ પહેલાની શાંતિ જણાય આવે છે.જંતર-મંતર પર ઉપવાસ માટે ભલે એકલા અન્ના જ બેઠા હોય પરંતુ આ દેશમાં અનેક પરીવારો રોજ ઉપવાસ કરે છે,બે ટંકનું ભોજન તેમને નસીબ નથી.

 

Share/Bookmark

પાની રે પાની તેરા રંગ કૈસા??

Comments
આમિર ખાનનાં સત્યમેવ જયતે શો માં આજે પાણી અંગેનો મુદ્દો ગંભીર રીતે સમજાવવામાં આવ્યો.પવિત્ર નદીઓનાં દેશ માથે પાણીનું ભયંકર સંકટ તોળાઈ રહ્યુ છે.દેશમાં હજારો ગામડાંઓ ઉસ્માનનગરની જેમ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.પાણી માટે ૫-૧૦ કિલોમીટરની સફર એ તેમના દૈનિક જીવનનો હિસ્સો બની ગઈ છે.પાણી માટે મારપીટ થાય છે,ખૂન-ખરાબાં થાય છે.હત્યાઓ થાય છે.પાણીનો રંગ લાલ થાય છે.નિર્મલ પાણી કોઈના મોતનું કારણ બની શકે છે તે કલ્પના પણ કેટલી આઘાતજનક છે!

ગામડાંઓની હાલત આ છે તો શહેરોની પરીસ્થિતી કંઈ વધુ સારી નથી.મુંબઈને પાણી પુરૂ પાડતાં ભાતસા,તુલસી વગેરે ડેમો પણ ડચકાં ખાય છે.સમયસર વરસાદ ના આવવાનાં કારણે ખેડૂતો અને અન્ય શ્રમજીવી લોકોની હાલત દયાજનક થઈ ચૂકી છે.દિલ્હી,બેંગ્લુરૂની મ્યુનિસીપાલીટી કુત્રિમ વરસાદ વરસાવવાનું આયોજન કરી રહી છે જેથી પાણીની વિકટ સમસ્યાનો કંઈક ઉકેલ આવે.

સત્યમેવ જયતેમાં દર્શાવાયું તેમ મહારાષ્ટ્રના ૫૦૦૦ ગામડાઓની જીવનશૈલી પાણીના ટેન્કરો ઉપર આધારીત છે.જે દિવસે ટેન્કર આવે તે દિવસે લોકોને બધા કામો છોડીને પાણી માટે લાઈનમાં લાગી જવું પડે છે.બિહારમાં ખેતરમાંથી પાણીની ચોરી રોકવા માટે ખેડૂતોએ બંદૂકો ઉઠાવવી પડી છે.પાણી માટે એકબીજા રાજ્યો ઝઘડી રહ્યા છે.

યમુના,ગંગા જેવી મુખ્ય નદીઓની હાલત ગંધાતી ગટરો જેવી બદતર થઈ ગઈ છે.૧૫૦૦ કિલોમીટર લાંબી યમુના નદીનો ૭૦૦ કિમીનો વિસ્તાર 'ડાર્ક ઝોન'જાહેર થઈ ચૂક્યો છે.મતલબ કે એ વિસ્તારનું પાણી માણસ તેમજ અન્ય સજીવો માટે ઝેર સમાન છે.વૃંદાવનમાં યમુના-જળનું ચરણામૃત લેવાય છે,જેમાં ૭૦-૮૦% પાણી દિલ્હીની ગંધાતી ગટરોનો કૂડો-મેલ હોય છે.એવી જ હાલત બનારસમાં ગંગા નદીની છે.ગંગા,યમુનાનું ઐતિહાસીક મહત્વ છે,તેની હાલત આપણે કચરાટોપલી જેવી કરી નાંખી છે.લગભગ દરેક મોટી નદીઓની હાલત એ જ છે.

કરોડો વર્ષોનાં ભૂસ્ખલન અને અનેક પ્રક્રિયાઓ બાદ જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે તેનું ઉપલું પડ દાધિયા જેવું બન્યું.ઉપરની માટીનું આવરણ વરસાદનાં પાણીને જમીનનાં નીચેનાં પડમાં સાચવી રાખતું હતું.નીચેના 'અંડરગ્રાઉન્ડ તળાવો'માં આ પાણીનો સંગ્રહ થતો હતો.આ સાહજીક પ્રક્રિયા સામે યક્ષપ્રશ્ન ત્યારે ઊભો થયો જ્યારે માનવી કોંક્રિટના રવાડે ચઢ્યો! કોંક્રિટના રસ્તાઓ,મકાનો જમીનના ઉપલા પડને પાણી શોષવાની પ્રક્રિયામાં અંતરાય બનવા લાગ્યાં.અધૂરામાં પૂરુ માણસે જમીનની અંદરથી પાણી મેળવવા માટે ખોદકામ શરૂ કર્યુ.બોરવેલ,કૂવાઓ વગેરે ઉપાયોને કારણી જમીને ચારણી બનાવી દીધી.

પૃથ્વી પર ૭૧% પાણી છે તે વાત આપણે જાણીએ છીએ.પરંતુ આ ૭૧%માંથી માત્ર ૩% પાણી પીવા લાયક છે અને તેમાં પણ ૨.૩% પાણી બરફના સ્વરૂપે છે.એ રીતે જોઈએ તો ૭૦૦ કરોડ માણસો અને અન્ય કરોડો સજીવો માટે ૧.૭% પાણી ખરેખર ઉપયોગી છે.હાલત ત્યારે બદતર થઈ જાશે જ્યારે સતત વધતી જતી વસ્તીની આડ-અસરો,કારખાનાં-મીલોનાં ગંધાતા પાણીના પાપે નદીઓ,તળાવોનું પાણી પીવાલાયક કે દૈનિક ક્રિયાઓ માટે ઉપયોગ કરવાને લાયક નહી રહે.

શું થશે ત્યારે??

ત્યારે એક બાલદી પાણી માટે ખૂન થશે.બહારગામ ગયેલાં પડોશીના બંધ મકાનમાંથી બે દિવસના વાસી પાણીની ચોરી થશે.દરેક વ્યક્તિએ અઠવાડિયામાં ૨ દિવસ જ નાહવાનું તેવો વટહુકમ બહાર પડશે.પાણી બચાવો વિધેયક પાસ થશે.ચૂંટણી જીતવા માટે દરરોજ પાણી સપ્લાઈના પોકળ છતાંય લાલચી ઢંઢેરાઓ પીટાશે.સમાચારપત્રોના પાનાંઓ પાણી અંગેની ખબરોથી ઉભરાઈ જશે.ટેન્કરનું પાણી ભરવા માટે માથાભારે લોકો બંદૂકો,તલવારો,ધારીયાં જેવા તીક્ષ્ણ હથીયારોનો ઉપયોગ કરશે.પાણીનાં કૌભાંડો બહાર પડશે,દેશને નવો એ.રાજા કે કલમાડી મળશે.પાણી પુરવઠાના બજેટનું ઈમ્પોટન્ટ વધી જશે.૩૦૦ લીટર કરતાં વધારે પાણી ધરાવતા લોકો સ્ટેટ્સ સીમ્બોલ બની જશે.તેઓ ખરેખર "પાણીવાળા" કહેવાશે.પવિત્ર નદીઓનું પાણી મ્યુઝીમમાં જ જોવા મળશે.:) = :(

છેવટે પેલું પાણી લાલ રંગે નાહીને સમ્રગ માનવજાત સામે અટ્ટહાસ્ય કરશે.


Share/Bookmark